
ગાંધીનગર, તા. 10 એપ્રિલ 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલી શકે તેવી સ્થિતિમાં છે જો કોંગ્રેસ તેનો શ્રેષ્ઠ દેખાવ કરે તો સાત કે તેનાથી વધુ બેઠકો જીતી શકે તેવી શક્યતાઓ રાજકીય પંડિતો જોઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ તથા જુથ બંધી તેમજ અસંતોષને કારણે પરિસ્થિતિ બગડી રહી છે.
ઉત્તર ગુજરાતની પાટણ તથા બનાસકાંઠા બેઠક પર હાલમાં કોંગ્રેસની ખૂબ જ મજબૂત પરિસ્થિતિ છે ઉમેદવારો પણ જીતી શકે એવા છે પરંતુ બીજી બાજુ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીના મુદ્દે ઠાકોર સમાજમાં કોંગ્રેસ માટે આક્રોશ ફેલાયો છે ગઈકાલે ઠાકોરસેનાની બેઠક મળી હતી જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને 24 કલાકની અંદર કોંગ્રેસના તમામ હોદ્દાઓ છોડવા માટેની તાકીદ કરાઈ હતી જોકે અલ્પેશ ઠાકોર ગઈ મોડી રાત્રે ગુજરાત બહાર નીકળી ગયા છે.
ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર પણ કોંગ્રેસ સાથે લડી લેવાના મૂડમાં છે આ ત્રણેય ધારાસભ્યો ગમે તે ક્ષણે કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાઈ શકે છે જો કે સવારથી જ તેમના રાજીનામાની વાત અને ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ હતી જેને પગલે અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે અમે હજુ કોંગ્રેસમાં જ છીએ અને ભાજપમાં જવાનો કોઈ પ્રશ્ન નથી.
અહીં નોંધનિય છે કે ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક નેતાઓ આવી વાત કર્યા બાદ ના ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા બીજી બાજુ ધવલ સિંહે એવું પણ કહ્યું છે કે આજે સાંજ સુધીમાં સમાજના આગેવાનો જે કહેશે એ મુજબનો અમે નિર્ણય કરીશું અમે સમાજના હિત માટે કામ કરીએ છીએ અને સમાજ કહે છે તો કોંગ્રેસમાંથી રાજીનામું આપતા અમે અચકાશું નહીં.
દરમિયાનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે અલ્પેશ ઠાકોર કે અન્ય કોઈપણ ધારાસભ્ય અમારા સંપર્કમાં નથી તેઓને કોંગ્રેસ થી અસંતોષ છે એ વાત સાચી છે પરંતુ આ મામલો કોંગ્રેસનો આંતરિક છે છતાં જો કોઈ પણ આગેવાન ભાજપની વિચારધારામાં વિશ્વાસ રાખતો હોય અને ભાજપમાં જોડાવું હોય તો તેમના માટે અમારા દ્વાર ખુલ્લા છે.
બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજ પછી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જોકે આવતીકાલે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો રેલી કે સભા નથી આમ છતાં તેઓ એકાએક અમદાવાદ શા માટે આવી રહ્યા છે તે પ્રશ્ન નો જવાબ મેળવવા માટે સૌ કોઈ એકબીજાને પૂછી રહ્યા છે સૂત્રો જણાવે છે કે અલ્પેશ ઠાકોર સહિતના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને હમણાં ભાજપમાં લેવા કે નહીં લેવા તેનો આખરી નહિ અમિત શાહ જ કરશે અમિત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ સંગઠનના નેતાઓ સાથે ઉત્તર ગુજરાતની છેલ્લી રાજકીય પરિસ્થિતિ ની ચર્ચા વિચારણા અને સમીક્ષા કર્યા બાદ કોઈ આખરી નિર્ણય કરશે.
એવું પણ બની શકે છે કે અલ્પેશ ઠાકોર સહિતના આ ત્રણેય સભ્યોને હમણાં કોંગ્રેસમાં જ રાખવામાં આવે કારણ કે જો લોકસભાની ચૂંટણી દરમિયાન જ તેમને કોંગ્રેસમાંથી તોડીને ભાજપમાં લેવામાં આવે તો લોકોના રોષનો સામનો કરવો પડે જેને કારણે ભાજપના ઉમેદવારોને નુકસાન થવાની પણ શક્યતાઓ દેખાય છે આથી ભાજપની બી ટીમ તરીખે આ ધારા સભ્યો કોંગ્રેસમાં રહીને કોંગ્રેસની ઘોર ખોદી નાખે તેવી પણ એક યોજના વિચારવામાં આવી રહી છે ભૂતકાળમાં અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાનો બી ટીમ તરીકે જ ઉપયોગ કર્યો હતો બીજી બાજુ ગાંધીનગરમાં અને રાજકીય વર્તુળોમાં એવી વાતો ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી કોંગ્રેસ છોડવા માટે મોટી રકમનો માગણી કરી છે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિતના ધારાસભ્યોના સંદર્ભમાં આજે મોડી રાત સુધીમાં અથવા તો આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવું દેખાઇ રહ્યું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ge3GKN
No comments:
Post a Comment