
ભાવનગર, તા. 02 એપ્રિલ 2019, મંગળવાર
બોરતળાવ RTO સર્કલ પાસેની સોસાયટીમાં રહેતા અને ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષિકાએ શખસને આપેલ નાણાની ઉઘરાણી કરતા બે શખસોએ કારમાં આવી શિક્ષિકાને ઉઠાવી જઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવા પામી હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરી શામપરા ખોડિયાર ગામના બન્ને શખસની ધરપકડ કરી લઈ લોકઅપ હવાલે કરી દીધા હતા.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ભાવનગર શહેરના બોરતળાવ આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ શિવઓમ નગરમાં રહેતા અને ચિત્રા વિસ્તારની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નીતાબેન નિરજભાઈ ભટ્ટ (ઉ.વ.૪૧)એ બોરતળાવ પોલીસ મથકમાં હરદેવસિંહ પથુભાગોહિલ અને ગાડીના ડ્રાઈવર અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (રે. શામપરા, ખોડિયાર) વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ હરદેવસિંહને તેઓએ રૂપિયા 1.46 લાખ આપ્યા હતા જે પૈકી એક લાખ રૂપિયા તેઓ પાસે લેવાના બાકી હોય તેની ઉઘરાણી કરતા રાત્રિના 12.30 થી 2.30ના સમયગાળા દરમિયાન ઉક્ત શખસોએ કાર (નં. જી.જે. 04 સી.જે. 9493)માં આવી તેઓના ઘરે તેણી હતા તે વેળાએ તેઓને ગેરકાયદે ગાડીમાં બેસાડી ઉઠાવી જઈ તેઓને ઢીકાપાટુ અને ધોલધપાટ મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી પરત છોડી દીધા હતા. ઉક્ત બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.
જ્યારે ઉક્ત બનાવ અનુસંધાને બોરતળાવ પોલીસે બન્ને શખસ સામે IPC 342, 323, 504, 506(2), 114, મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીને શામપરા ખોડિયાર ગામે રહેતા હરદેવસિંહ પથુભા ગોહિલ (ઉ.વ.44) અને અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.28)ની ધરપકડ કરી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I85rKW
No comments:
Post a Comment