વડોદરા,તા.1 એપ્રિલ 2019,સોમવાર
શહેરના મકરપુરા રોડ પર રહેતા સાસુ-વહુ ગત ૩૦મી તારીખે સંબંધીના ઘરે રોકાતા તેઓના બંધ મકાનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને તેઓએ જાળીનું તાળુ તોડી ઘરમાંથી રોકડ અને દાગીના સહિત ૧.૬૦ લાખની મતાની ચોરી કરી હતી.
મકરપુરા રોડ પર આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા નિરાલીબેન દિવ્યેશભાઈ પટેલના પતિ હાલ મલેશિયામાં રહેતા હોઈ તે અત્રે તેમના સાસુ-સસરા સાથે રહે છે અને તેમના સસરા ફેબ્રીકેશનનો વેપાર કરે છે. ગત ૩૦મી તારીખના સાંજે તેમના સાસુ ઈલાબેન મકાન બંધ કરી સુરત ખાતે રહેતા સંબંધીના ઘરે ગયા હતા અને નિરાલીબેન વેમાલી ખાતે રહેતા માસી સાસુના ઘરે જતા રાત્રે ત્યાં જ રોકાયા હતા.
દરમિયાન રાત્રે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાની જાળીને મારેલું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનના ઉપરના માળે તિજોરીમાંથી રોકડા ૪૦ હજાર તેમજ સોનાચાંદીના વિવિધ દાગીના સહિત ૧.૬૦ લાખની મતાની ચોરી કરી ગયા હતા. ચોરીના બનાવની જાણ થતાં ઘરે દોડી આવેલા નિરાલીબેને આ બનાવની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2COBAnv
No comments:
Post a Comment