
આણંદ.તા, 1 માર્ચ 2019, શુક્રવાર
વિવાદોના વંટોળમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઘેરાયેલી રહેલા વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે યુનિ.ના જ સિન્ડીકેટ સભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા શિક્ષણનગરીમાં ખળભળાટી મચી જવા પામી છે.
સ.પ.યુનિ.ના સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ પોતે કોઈપણ જાતિ, ધર્મ, પ્રાંત કે પક્ષપાત વગર કર્મચારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓના ન્યાય માટે યુનિ.માં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે લડત આપી રહ્યા છે. જો કે સ.પ.યુનિ.ના કુલપતિ પ્રો.શિરીષ કુલકર્ણી દ્વારા યુનિ.માં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ ચલાવવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ સિન્ડીકેટ સભ્યએ લેખિત રજૂઆતમાં કર્યા છે. યુનિ.ના કોન્ટ્રાક્ટોમાં, ભરતીઓમાં, ટેન્ડરોમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવા અંગે તેઓએ મુખ્યમંત્રીને જણાવ્યું છે.
વધુમાં કુલપતિ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના નામે સત્યને વળગીને અવાજ ઉઠાવવાવાળાને ડરાવી ગાંધીનગરથી આદેશ છે તેવું જણાવતા હોવાનુંં પણ લેખિત રજૂઆતમાં જણાવાયું છે.
આ અંગે એક નિષ્પક્ષ અને રાજકીય દ્વેષભાવ રાખ્યા વગર કમિટિ બનાવવામાં આવે અને યુનિ.માં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઉપરાંત કુલપતિ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના પુરાવા પણ તેઓ રજૂ કરવા તૈયાર હોવાનું લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે અને જો તેઓની રજૂઆત ખોટી હશે તો તેઓ સિન્ડીકેટ અને સેનેટ મેમ્બર તરીકે રાજીનામું આપશે તેવું પણ લેખિત રજૂઆતમાં કહેવામાં આવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H9ERRk
No comments:
Post a Comment