
અમદાવાદ, તા.10 માર્ચ, 2019, રવિવાર
ગુજરાતની ૮થી વધુ સરકારી યુનિ.ઓમાં કુલપતિઓની નિમણૂંકોને લઈને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સરકારે છેલ્લા ૧૫ દિવસમાં તાબડતોબ કુલપતિઓ-ઉપકુલપતિઓની નિમણૂંકો કરી દીધી છે.દરમિયાન આજે સાંજે ચૂંટણીની તારીખો જાહેર થનાર હોઈ સરકારે તે પહેલા જ આજે બપોરે ભાવનગર યુનિ.ના કુલપતિની નિમણૂંક કરી દીધી છે.જો કે હજુ પણ ત્રણ સરકારી યુનિ.ઓના કુલપતિઓની નિમણૂંક બાકી રહી છે અને જે હવે ચૂંટણી જાહેર થતા હાલ નહી થઈ શકે.
મુખ્યમંત્રીએ આજે ભાવનગરની કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે એલ.ડી આર્ટસ કોલેજના આચાર્ય મહિપતસિંહ ચાવડાની નિમણૂંક કરી છે.મહિપતસિંહ ચાવડા છેલ્લા બે-ત્રણ વર્ષથી કુલપતિ બનવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અને ગાંધીનગરના આંટાફેરા કરતા હતા તેમજ શિક્ષણમંત્રીના દરેક કાર્યક્રમમાં નજરે પડતા હતા.
અંતે સરકારે તેમની ઈચ્છા પુરી કરી દીધી છે અને ભાવનગર યુનિ.ના નવા કુલપતિ તરીકે તેમની નિમણૂંક આજે તાબડતોબ કરી દીધી છે.ચૂંટણી આજે સાંજે જાહેર થઈ જવાની હોઈ અને આચાચર સંહિતા લાગુ પડી જતા પછી નિમણૂંક થઈ શકે તેમ ન હોવાથી મુખ્યમંત્રીએ આજે બપોરે જ તાબડતોબ કુલપતિ નિમણૂંકનો ઓર્ડર કરી દીધો હતો.ઉપરાંત આજે રવિવાર હોવા છતાં ચાર્જ સંભાળી લેવા પણ સૂચના અપાતા મહિપતસિંહ ચાવડા રાતે ભાવનગર યુનિ.પણ પહોંચી ગયા હતા.
લોકસભાની ચૂંટણી જાહેર થઈ જતા હવે જે યુનિ.ઓમાં કુલપતિઓની નિમણૂંક બાકી છે તે યુનિ.માં નિમણૂંક નહી થઈ શકે.રાજ્યની ૯ જેટલી સરકારી યુનિ.ઓમાં કુલપતિની નિમણૂંક માટે સર્ચ કમિટીઓ રચાઈ ગઈ છે અને પ્રક્રિયા પૂર્ણ ઘણા સમયથી ચાલી રહી છે.જેમાં સરકારે સૌપ્રથમ એમ.એસ.યુનિ.માં કુલપતિની નિમણૂંક કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિ,ગોધરાની મધ્ય ગુજરાત યુનિ.,આંબેડકર યુનિ. તથા ટીચર્સ યુનિ.બાદ છેલ્લા આજે ભાવનગર યુનિ.માં કુલપતિ નિમ્યા છે.
આ દરમિયા સૌરાષ્ટ્ર યુનિ. અને ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ પણ સરકારે નીમી દીધા છે.હવે બાકી રહેલી ત્રણ યુનિ.માં કચ્છ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને જુનાગઢની નરસિંહ મહેતા યુનિ.નો સમાવેશ થાય છે.આ ત્રણ યુનિ.માં હવે ચૂંટણીને પગલે ત્રણ મહિના સુધી કુલપતિની નિમણૂંક નહી થાય .
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HmBiau
No comments:
Post a Comment