
ઈન્ડોનેશિયા, તા.1 માર્ચ, 2019, શુક્રવાર
ઈન્ડોનેશિયાના ઉત્તરી સુલાવેસી પ્રાંતમાં આવેલી એક ગેરકાયદેસર સોનાની ખાણમાં ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં આઠ મજૂરના મોત થયા છે અને દટાયેલા ૩૦ને બચાવવા પ્રયાસ ચાલુ છે.
ઈન્ડોનેશિયાના ઉત્તરી સુલાવેસી પ્રાંતમાં આવેલી ગેરકાયદેસર સોનાની ખાણમાં મંગળવારે ભેખડ ધસી પડવાના કારણે ૬૦થી વધારે મજૂરો દટાયા હતા. મજૂરો દ્વારા વધારે પડતું ખોદકામ કરવાના કારણે અને ખોદકામના ખરાબ ઢાંચાના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવે છે.
આ દુર્ઘટનામાં આઠ મજૂરના મોત થયા છે અને ૨૦ મજૂરને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. બચાવી લેવાયેલા મજૂરો હાડકા તૂટવા જેવી નાની-મોટી ઈજાઓથી ઘવાયેલા છે.
ખાણની અંદર ફસાયેલા ૩૦ જેટલા મજૂરો હજુ પણ તેમને બચાવી લેવા માટે રડીને વિનંતી કરી રહ્યા છે.
અંદર ફસાયેલા મજૂરોને બચાવવા માટે હાથ કે સામાન્ય ઓજારની મદદ લેવાઈ રહી છે કારણ કે ભારે યંત્રનો ઉપયોગ કરવાથી પરિસ્થિતિ વધારે બગડવાની શક્યતા જણાઈ રહી છે.
જો ભારે સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો અંદર ભૂસ્ખલન થઈ શકે છે જે અંદર ફસાયેલા લોકો માટે ઘાતક નીવડી શકે છે. જો કે મંગળવારે થયેલી આ દુર્ઘટના બાદ હવે અંદર ફસાયેલા લોકોના પરિવારજનો પાસે ભારે સાધનોનો ઉપયોગ કરવા મંજૂરી માંગવામાં આવી છે જેથી અંદર જીવીત રહેલા લોકોને ખોરાક-પાણી પહોંચાડી શકાય.
ત્રણ ડઝન કરતા પણ વધારે મજૂરો ખાણમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે અને બચાવકર્તાઓ દ્વારા અંદર ફસાયેલા લોકો સાથે સંવાદ કરવા પ્રયત્ન થઈ રહ્યો છે. ખાણમાં ખોદકામ વખતે ઉભા કરાયેલા સપોર્ટ બીમ પડી ભાંગવાના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TatU9n
No comments:
Post a Comment