
ભાવનગર, તા. 01 માર્ચ 2019, શુક્રવાર
સરકારી કર્મચારી માટે સર્વિસ બુક મહત્વનો દસ્તાવેજ હોય છે. આ બુકમાં થયેલી નોંધના આધારે ઇજાફો, રજાઓ, પેન્શન સહિત બધુ જ નક્કિ થતું હોય છે. આ મહત્વના દસ્તાવેજમાં યોગ્ય સમયસર યોગ્ય જવાબદાર દ્વારા નોંધ થવી જરૂરી છે પરંતુ ભાવનગર પ્રાથ. શિક્ષણ સમિતિએ આ કામ જે-તે શાળાના આચાર્યોને સોંપી ધકેલ પંચા દોઢસો જેવી નીતિ અપનાવી જવાબદારી ખંખેરી નાખી છે. આના કારણે શિક્ષકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં કામ કરતા શિક્ષકોની સર્વીસ બુક અપડેટ રાખવાની જવાબદારી શાસનાધિકારીની હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી શાસનાધિકારીએ જવાબદારી આચાર્યોને સોંપી દીધી છે. શાળા કક્ષાએ શિક્ષકોની ગતિવિધી અને રજા સહિતની જાણકારી આચાર્યને જ હોય તેથી આ કામ તેમની પાસે રહે તો સરળતા રહે પરંતુ તે પછી શાસનાધિકારી હાથ પર હાથ ધરીને બેસી જઇ સર્વીસ બુક્સમાંની નોંધ ચકાસોની, જરૂરી ખુલાસા પુછવાની તથા તે અંગેના પ્રશ્નોના નિકાલની પણ જવાબદારીમાંથી છટકી જતા અનેક શિક્ષકો હેરાન થાય છે.
રજા, પગારપંચના લાભ, હક રજા સાથેની વ્યવસ્થા સહિતના મામલે એક ખોટી નોંધ પણ શિક્ષકની સમગ્ર કારકિર્દીને અસર કરી શકે અને તેવા દાખલા નોંધાયા છે. ફેરબદલી થતા સર્વીસ બુક અહીંથી તહીં લઇ જવાના સમયે બુકમાં યોગ્ય નોંધ ન હોવાના કારણે શિક્ષકોને ભોગ બનવું પડે છે. શાસનાધિકારી દ્વારા આચાર્યોને સોંપાયેલા આ કામની નિયમિતપણે ચકાસણી થાય, પ્રશ્નોનો નિકાલ થાય તે જોવું જરૃરી બન્યું છે.
આચાર્ય કહે તેમ કરવાનું, મનમાની માટે કોણ જવાબદાર?
સર્વીસ બુકમાં નોંધની જવાબદારી આચાર્યની હોય શિક્ષકોના તમામ લાભાલાભ માટે તે જવાબદાર બનતા હોય તેની સાથે યોગ્ય વ્યવહાર આવશ્યક બની જાય છે. કોઇ શિક્ષક સાથે અણબનાવ થાય કે અન્ય કોઇ બાબત હોય ત્યારે તેની અસર તેની સર્વીસ બુક પર પણ પડી શકે છે. આવું ન થાય તે માટે શિક્ષણ સમિતિ અને શાસનાધિકારી દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. ભુતકાળમાં કેટલાક શિક્ષકોને પેન્શન સમયે આવી કિન્નાખોરીનો ભોગ બનવું પડયું હતુ.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EFNYr7
No comments:
Post a Comment