
- ટ્રોમ્બે અને તારાપુરના બે મહત્વના અણુકેન્દ્રોને હવાઇ-કવચ આપવામાં આવ્યું છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 27 ફેબ્રુઆરી 2019, બુધવાર
ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડા પર હુમલો કર્યા પછી દુશ્મન દેશના કોઇ પણ વળતા પ્રહારને ખાળવા અને દેશની આર્થિક રાજધાની મુંબઇની સુરક્ષા માટે નેવી અને એરફોર્સ સજ્જ છે અને સતર્ક છે.
સાગરી સુરક્ષાની જવાબદારી સંભાળતા વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા સાગરી સીમા પરની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નેવીના જહાજો અને નેવલ એર વિંગના વિમાનો સતત જાપ્તો રાખી રહ્યાં છે.
હવાઇ દળનું મથક થાણે આવેલું છે. દુશ્મન દેશના કોઇ પણ જાતના હવાઇ હુમલાને મારી હટાવવા માટે એર-ફોર્સના મથકમાં સજ્જતા રાખવામાં આવી છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે એટલું જ નહીં ટ્રોમ્બે અને તારાપુરના બે અત્યંત મહત્વના અણુ કેન્દ્રો આ પરિસરમાં આવેલા છે. આ બાબત ધ્યાનમાં લઇ દુશ્મન દેશ સૌથી પહેલું નિશાન બનાવે એવા ઝબુંળતા જોખમને લીધે મુંબઇને 'હવાઇ કવચ' આપવામાં આવ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) તરફથી વિકસાવવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સુરક્ષા માટે સજ્જ રાખવામાં આવી છે. શત્રુ તરફથી મિસાઇલ છોડવામાં આવે તો તેને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા આ સીસ્ટમમાં રહેલી છે.
આ સાથે જકોસ્ટગાર્ડના પેટ્રોલિંગ જહાજો પણ મુંબઇ આસપાસના દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. દરિયાઇ માર્ગે શહેરમાં ઘૂસણકોરોની શક્યતા નિવારવા માટે મરીન પોલીસ પણ નજર રાખી રહી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H5n0uB
No comments:
Post a Comment