(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.26 માર્ચ 2019,મંગળવાર
વરાછાના લંબે હનુમાન રોડ પર રહેતા દંપતીએ ગઈ કાલે સાંજના સમયે ઘરમાં વારાફરતી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાની કોશિશ કરતા ચકચાર મચી ગઈ હતી. બંનેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. પત્ની મોબાઇલ પર કોઇ સાથે વાત કરતી હોવાની શંકામાં થયેલા ઝઘડા બાદ પતિ પત્નીએ આ પગલું ભરી લીધું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળતી માહિતી મુજબ વરાછા રોડ લંબેહનુમાન રોડ રહેતા ૨૬ વર્ષીય રીનાબેન અને ૨૭ વર્ષીય રત્નકલાકાર પતિ રૂપેશભાઈ (બંનેના નામ બદલ્યા છે) એ કાલે સાંજે પોતાના ઘરમાં વારાફરતી ઝેરી દવા પી લેતા બંનેને સ્મીમેરમાં દાખલ કરાયા છે. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે દંપતીને બે સંતાન છે. પત્ની રીના અવારનવાર મોબાઇલ ફોન પર કોઇકની સાથે વાત કરતી હતી. કેટલીકવાર રાતે પણ આ રીતે ફોન પર વાત કરતી હોવાની પતિને શંકા હતી.
પતિ પુછતો ત્યારે પત્ની પોતાના સબંધી કે પરિવારના સભ્ય સાથે વાત કરતી હોવાનું કહેતી હતી. જોકે, પતિને શંકા હતી કે પત્ની પરપુરુષ સાથે વાત કરતી રહે છે. આ મુદ્દે બંને વચ્ચે કાલે ઝગડો થયો હતો. જોકે બે દિવસથી ઝગડો ચાલી રહયો હતો. જે કાલે ઉગ્ર બન્યા બાદ બંનેએ વારાફરતી ઝેરી દવા પી લીધી હતી.
બનાવ અંગે તપાસકર્તા વરાછા પોલીસ સુત્રો જણાવ્યું હતું કે દંપતી થોડા સમય પહેલા જ પોતાના વતન ગીરથી સુરત આવ્યું હતું. પતિનું હીરાનું કામ હાલમાં બરાબર ચાલતું નહોતું. તેથી તેમને વતન જવું હતું પણ પત્ની ના પાડી રહી હતી. આ મુદ્દે બંને વચ્ચે રકઝક થઇ હતી. જેને કારણે બંનેએ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જોકે, વિસ્તૃત તપાસ બાદ સાચી હકીકત જાણવા મળશે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CETfhc
No comments:
Post a Comment