
(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા.1 માર્ચ, 2019, શુક્રવાર
આતંકવાદ મુદ્દે જગતભરમાં ખુલ્લા પડી ગયેલા પાકિસ્તાને હવે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૃ કરી છે. તેના ભાગરૃપે પાક. વિદેશ મંત્રી કુરેશીએ સ્વીકાર્યું હતું કે મસૂદ અઝહર ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ભારત સરકાર યોગ્ય પુરાવા આપશે તો પાક. સરકાર તેને ઝડપી લેશે.
ભારતમાં આતંક મચાવી રહેલા નાપાક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર પાકિસ્તાન છે એવું ખુદ પાકિસ્તાન સરકારે જાહેરમાં સત્તાવાર રીતે સ્વીકાર્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક મીડિયા નિવેદનમાં કહ્યું હતું કે મને માહિતી છે ત્યાં સુધી મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને ગંભીર બીમારીથી તડપી રહ્યો છે અને ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી, પરંતુ તેની શંકાના આધારા ધરપકડ કરી શકાય નહીં. જો ભારત પુરતા પુરાવા આપશે તો પાકિસ્તાન સરકાર મસૂદની ધરપકડ કરશે.
કુરેશીએ બચાવ કરતા કહ્યું હતું કે જો સીધી ધરપકડ થાય તો બચાવમાં આરોપી કોર્ટમાં જાય છે અને કોર્ટમાં સરકારે પુરતા પુરાવા આપવા પડે છે. સરકારે કોર્ટની નિયત પ્રક્રિયા પૂરી કરવી પડે છે.
ચોમેરથી ઘેરાયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કાર્યવાહી થશે એવી ધરપત બંધાવીને પાકિસ્તાનની અતિશય ખરાબ થઈ રહેલી વૈશ્વિક ઈમેજ બચાવવાના પ્રયાસો કર્યા હતા.
મીડિયા નિવેદનમાં પાક. વિદેશ મંત્રીએ ડાહી ડાહી વાતો કરીને કહ્યું હતું કે પાકિસ્તાન ક્યારેક તંગદિલી ઈચ્છતું નથી અને બંને દેશો વચ્ચે તણાવ વધે એવું કોઈ પગલું પાકિસ્તાન ભરશે નહીં. મસૂદ અઝહરની યુએનના આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કરવાના સવાલના જવાબમાં કુરેશીએ કહ્યું હતું કે ભારત સાથે સંબંધો સુધરતા હોય અને તંગદિલી ઓછી થતી હોય તો પાકિસ્તાન બધુ જ કરવા તૈયાર છે. પરંતુ તે માટે પર્યાપ્ત પુરાવા હોય તે જરૃરી છે.
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ભારતમાં થયેલા કેટલાય હુમલાની જવાબદારી જાતે સ્વીકારી છે અને કેટલાય હુમલા પાછળ તેની સંડોવણી હોવાના પુરાવા અગાઉ પણ ભારતે આપ્યા છે. પાકિસ્તાન પુરાવાના મુદ્દા પકડીને જૂઠાણાં ચલાવીને આતંકવાદીઓને બચાવવાની તમામ કોશિશો કરે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EpXzRw
No comments:
Post a Comment