ગાંધીનગર,તા.26 માર્ચ 2019,મંગળવાર
આ વખતે પુરતા પ્રમાણમાં વરસાદ નહીં પડવાને કારણે તેની સીધી અસર ખરીફ સિઝનના વાવેતર વિસ્તાર ઉપર પડી હતી અને ૬૦ હજાર હેક્ટર વિસ્તારનો ઘટાડો થયો હતો તો રવિપાકમાં પણ ઘટાડો થવાની શક્યતા હતી પરંતુ વાતાવરણ સાનુકુળ રહેવાને કારણે રવિપાકનું ૭૧ હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
પરંતુ હવે જ્યારે એક બાજુ ઉનાળું વાવેતર શરૂ થઇ ગયું છે તો બીજીબાજુ પાણીની તંગી હોવાને કારણે ઘણા ખેડૂતો ઉનાળામાં પાક લેવા માંગતા નથી જેના કારણે ઉનાળું વાવેતરમાં ૧૫ ટકાથી પણ વધુનો ઘટાડો નોધાવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
આ વખતે સમગ્ર ગુજરાતમાં ચોમાસું મોળુ ગયું છે. જેની સીધી અસર વાવેતર ઉપર પડી છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ચોમાસા દરમિયાન ૪૦ થી ૪૫ ટકા વરસાદ પડયો હતો. જેના કારણે વાવેતર વિસ્તારમાં ૬૦ હજાર હેક્ટરનો ધરખમ ઘટાડો નોંધાયો હતો. તો ત્યારબાદ રવિ સીઝનમાં પણ વરસાદની અછત નડશે તેમ લાગતું હતું પરંતુ બટાકા અને ઘઉં ઉપરાંત કઠોળનું વાવેતર આ સિઝનમાં વધ્યું હતું અને વાવેતર વિસ્તાર ૭૧ હજારથી પણ વધારે થઇ ગયો હતો.
હવે ઉનાળુ વાવેતર શરૂ થઇ ગયું છે ત્યારે સામાન્ય રીતે ગાંધીનગર જિલ્લામાં બાજરી, શાકભાજી અને ઘાસચારા સહિતના અન્ય પાકો મળીને કુલ ૩૫ હજાર હેક્ટરમાં વાવેતર થાય છે પરંતુ આ વખતે પાણીની તંગીની અસર ખેડૂતોએ વહેલી જ અનુભવી લીધી છે અને આ અનુભવને લઇને તેમજ નિષ્ણાંતોના સલાહ મુજબ ઉનાળુ વાવેતર ઓછું કરવામાં ખેડૂતો માની રહ્યાં છે.
ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ વાવેતર ૧૫ હજાર હેક્ટરે પહોંચી ગયું છે ત્યારે ઉનાળાના શરૂઆતના દિવસોમાં જ આકરી ગરમી અને પાણીની તંગીને લઇને ઘણા ખેડૂતો આ વખતે ઉનાળુ વાવેતર ટાળવા માંગે છે. જેના કારણે વાવેતર વિસ્તાર ઘટશે. નિષ્ણાંતોનું માનીએ તો ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ વાવેતર વિસ્તારમાં ૧૫ થી ૧૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાની ખેતી પિયત આધારીત છે અને વરસાદ પુરતો નહીં પડવાના કારણે પીયતના સ્ત્રોત પણ ઘટયાં છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXLldJ
No comments:
Post a Comment