ગાંધીનગર,તા.26 માર્ચ 2019,મંગળવાર
ગાંધીનગર જિલ્લામાં હાઈવે માર્ગો ઉપર અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહયો છે ત્યારે કોબા-અડાલજ માર્ગ ઉપર બાલાપીર ચોકડી પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રીક્ષાચાલકનું મોત થયું હતું. આ સંદર્ભે અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર શહેર અને આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા કોબા અડાલજ માર્ગ ઉપર અકસ્માતની વધુ એક ઘટના બનવા પામી હતી. રવિવારે લોદરા ગામના વિષ્ણુજી જીવણજી ઠાકોર તેમની રીક્ષામાં ગામના જ એક મહિલા અને તેમના બે બાળકોને લઈ અમદાવાદ પાલડી ખાતે ગયા હતા.
જયાંથી બપોરે અઢી વાગ્યાના સુમારે તેઓ પરત ફરી રહયા હતા ત્યારે ઝુંડાલથી બાલાપીર જતાં અડાલજ અન્નપૂર્ણા મંદિર સામે એક કારે રીક્ષાને અડફેટે લીધી હતી. જેના કારણે રીક્ષાચાલક વિષ્ણુજી સહિત મહિલા અને તેમના બે બાળકો રીક્ષા બહાર પટકાયા હતા.
જેમાં ત્યાંથી પસાર થતી ટ્રકનું ટાયર વિષ્ણુજીના પગ ઉપરથી ફરી વળ્યું હતું અને તમામ ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રીક્ષા ચાલકનું મોત નીપજયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ મહિલા ગીતાબેનને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrrOw0
No comments:
Post a Comment