
ભારે ગરમી પછી ઉત્તરાખંડના હવામાનમાં પલટો, અનેક સ્થળોએ વરસાદ
તિરુવનંતપુરમ, તા.25 માર્ચ, 2019, સોમવાર
છેલ્લા બે દિવસમાં કેરળમાં હિટવેવને કારણે ત્રણ લોકોના મોત થવાને કારણે સત્તાવાળાઓએ હાઇ એલર્ટ જારી કરી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની શક્યતા છે. બીજી તરફ હિમાચલના પર્વતીય ભાગોમાં હિમવર્ષા જ્યારે મેદાની ભાગોમાં વરસાદ પડયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કેરળમાં રવિવારે બે લોકોનાં મોત થયા હતાં. દક્ષિણ કેરળના પરસાલામાં ડાંગરના ખેતરમાં કામ કરતા એક શખ્સનું હિટવેવને કારણે મોત થયું હતું. ઉત્તર કેરળના પય્યાનુરમાં હિટવેવને કારણે અન્ય શખ્સનું મોત થયું હતું.
જો કે ડોક્ટરોએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. કેરળમાં પૂર આવ્યાના છ મહિના પછી રાજ્યમાં હાલમાં દુકાળ જેવી પરિસ્થિતિ છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉંચા તાપમાનની સાથે ભેજનું પ્રમાણ પણ વધી ગયું હોવાથી રાજ્યના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્ય સરકારે બપોરે ૧૧ થી ૩ વાગ્યા સુધી બહારના કામ ન કરવાની સલાહ આપી છે. બીજી તરફ તેલંગણામાં પણ આગામી ત્રણ દિવસમાં તાપમાન વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં તેલંગણામાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી વધશે.
તેલંગણાના ભદ્રાચલમમાં મહત્તમ તાપમાન ૩૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. નિઝામાબાદમાં ૩૯.૭ જ્યારે હૈદરાબાદમાં ૩૭.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
એક દિવસની ગરમી પછી ઉત્તરાખંડમાં ફરી એક વખત હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તરાખંડના સવારથી વાદળો ઘેરાયેલા હતાં. કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. કોલકાતા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં આગામી ત્રણ દિવસોમાં ભારે વરસાદ અને તોફાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કોલકાતામાં આજે લઘુતમ તાપમાન ૨૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આાવ્યું હતું જે સામાન્યથી બે ડિગ્રી ઓછું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OtArXa
No comments:
Post a Comment