
યોજના ગેમ ચેંજર સાબીત થશે, મોદી અમીરોને પૈસા આપી રહ્યા છે, તે જ પૈસા અમે ગરીબોને આપીશું
નવી દિલ્હી, તા.25 માર્ચ, 2019, સોમવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગરીબી નાબુદ કરવા મુદ્દે એક મોટી જાહેરાત કરી છે. રાહુલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યંુ હતું કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ દેશમાં દરેક ગરીબને વર્ષે ઓછામાં ઓછા ૭૨ હજાર રૂપિયા ફરજિયાત આપવામાં આવશે. એટલે કે સરકાર સામે ચાલીને આ ગરીબોના ખાતામાં ૭૨ હજાર રૂપિયા આપશે. મોદી સરકારે ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, તેની સામે રાહુલ ગાંધી ૭૨ હજાર રૂપિયાની યોજના લાવ્યા છે, જેને નિષ્ણાંતો કોંગ્રેસનું સૌથી મોટુ પગલુ ગણી રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ આ યોજનાની જાહેરાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની આ યોજનાથી દેશમાં ગરીબીનો સંપૂર્ણપણે નાશ થઇ જશે અને દરેક નાગરીકને સમાન અધિકારો મળશે. આ યોજનાથી દેશના ૨૫ કરોડ લોકો અને પાંચ કરોડ પરિવારને લાભ મળશે. રાહુલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં જ મનગેરા યોજના આવી હતી, તેવી જ રીતે હવે દરેક ગરીબના ખાતામાં મહિને ૧૨ હજાર રૂપિયા એટલે કે વર્ષે ૭૨ હજાર રૂપિયા સરકાર જમા કરશે. આ યોજના ગરીબીને નાબુદ કરવાનો અંતિમ પ્રહાર સાબીત થશે અને દેશમાંથી ગરીબી જતી રહેશે.
રાહુલે જણાવ્યું હતું કે હું તમને ગેરંટી આપુ છું કે સત્તામાં આવ્યા બાદ દેશમાં ૨૫ કરોડ ગરીબોને વર્ષે ૭૨ હજાર આપીશું, આજનો આ દિવસ ઐતિહાસિક છે કેમ કે આજના દિવસે જ કોંગ્રેસે ગરીબી નાબુદીના અંતિમ પ્રહારની શરૃઆત કરી દીધી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી નિરવ મોદી અને વિજય માલ્યા જેવા ધનિકોને પૈસા આપી શકતા હોય તો કોંગ્રેસ ગરીબોને આ દેશના પૈસા આપી શકે છે. મોદી આ દેશમાં બે ભારત બનાવી રહ્યા છે જ્યારે અમે એવુ નહીં થવા દઇએ, દેશમાં એક જ ભારત રહેશે જેમાં દરેકને સમાનતા આપવામાં આવશે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીનું વચન પુરુ કર્યું હતું, જેને યાદ કરતા રાહુલે જણાવ્યું હતું કે અમે હવે સમગ્ર દેશના ખેડૂતો, ગરીબો અને વંચિતોને ન્યાય અપાવવા જઇ રહ્યા છીએ. આ પહેલા ભાજપે બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં વર્ષે છ હજાર રૃપિયા જમા કરાવવાનું વચન આપ્યું હતું જેને મોટુ પગલુ માનવામાં આવતું હતું, જોકે રાહુલ ગાંધીએ તેનાથી પણ મોટા પાસા ફેંક્યા છે. જેની સીધી અસર દેશના ગરીબો, વંચિતો, ખેડૂતો પર થશે અને ચૂંટણીમાં આકર્ષીત કરી શકે છે.
૧૯૭૧માં ઇંદિરાના ગરીબી હટાવો નારાએ કોંગ્રેસની વાપસી કરી આપી હતી
• ૧૯૭૧માં ઇંદિરા ગાંધીએ ગરીબી હટાવોનો નારો આપ્યો હતો, જેને પગલે કોંગ્રેસને બહુ મોટો ફાયદો થયો હતો. તે સમયે મોટા ભાગના પક્ષો ઇંદિરા ગાંધીની સામે હતા જોકે ઇંદિરાએ માત્ર એક જ નારાના આધારે કોંગ્રેસની વાપસી કરી દીધી હતી. તે સમયે કોંગ્રેસને ૫૧૮માંથી ૩૫૨ બેઠકો મળી હતી. જ્યારે હાલની સ્થિતિમાં રાહુલ ગાંધીએ ગરીબીને સંપૂર્ણપણે ખતમ કરવાના નારા સાથે ગરીબી હટાવવા માટે યોજના જારી કરી છે. જે ગેમ ચેંજર સાબીત થઇ શકે છે તેવો પણ નિષ્ણાંતોનો મત છે.
રાહુલ ગાંધીની લઘુતમ આવક યોજના
• સરકાર સામે ચાલીને આ નાગરીકોના ખાતામાં મહિને ૧૨ હજાર અને વર્ષે ૭૨ હજાર જમા કરશે
• દેશના આશરે પાંચ કરોડ પરિવાર અને ૨૫ કરોડ નાગરીકોને યોજનાનો લાભ મળશે
• આ લઘુતમ આવક યોજના હોવાથી જો વ્યક્તિની મહિનાની આવક છ હજાર હશે તો બાકીના છ હજાર રૂપિયા સરકાર આપશે
• દેશના ૨૦ ટકા લોકોને આ યોજનાનો લાભ મળશે, મહિને ૧૨ હજારથી વધુ આવક ધરાવતાને લાભ નહીં મળે
• યોજના હેઠળ અંદાજે ૩.૬૦ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2usYGeM
No comments:
Post a Comment