
ગાંધીનગર તા. 27 માર્ચ 2019, બુધવાર
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે આજરોજ પ્રદેશ મીડિયા વિભાગની એક અગત્યની બેઠકમાં ખાસ ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરમાંથી આવેલા ભાજપાના મીડિયા વિભાગના કાર્યકર્તાઓ તથા ડીબેટ ટીમને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાસે કોઇ નેતા નથી કે નીતિ નથી. કોંગ્રેસ પાસે માત્ર એક જ હથિયાર છે અને તે છે જુઠ્ઠાણા. આથી જ કોંગ્રેસના જૂઠાણાંનો પર્દાફાશ કરવાની ભાજપા મિડીયા ટીમની સવિશેષ જવાબદારી છે.
આતંકવાદ, ભ્રષ્ટાચાર, રોજગાર, રાફેલ, સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક સહિતના અનેક મુદ્દે કોંગ્રેસ દ્વારા જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે સૌએ ભાજપાની સરકારો દ્વારા કરવામાં આવેલા જનકલ્યાણ કાર્યો તથા વિકાસલક્ષી યોજનાઓની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી કોંગ્રેસના જુઠ્ઠાણાને જડબાતોડ જવાબ આપવો જોઇએ.
રૂપાણીએ આતંકવાદીઓને છોડી મૂકવાના કંધાર મુદ્દે કોંગ્રેસના જૂઠાણાનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતુ કે, તે સમયે વિમાનમાં બેઠેલા આશરે સવા બસ્સોથી વધુ નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે સરકારે યોગ્ય પગલું ભર્યું હતું અને તે સમયે દેશની તમામ રાજકીય પાર્ટીઓને સાથે રાખીને સર્વાનુમતે આ નિર્ણય કરાયો હતો.
પરંતુ આજે કૉંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી કંધાર બાબતે દેશની જનતાને ગુમરાહ કરી રહયા છે. આતંકવાદ બાબતે જૂઠાણા ફેલાવનારા કોંગ્રેસના યુવરાજ સૌ પ્રથમ તો એ વાતનો જવાબ આપે કે, કોંગ્રેસે પોતાના રાજનેતાના સગા-સંબંધીઓને બચાવવા માટે કેટલા આતંકવાદીઓને છોડી મૂક્યા? કોંગ્રેસના નેતા મુફ્તી મોહમ્મદ સૈયદની દીકરી રુબીને છોડાવવા માટે કોંગ્રેસે તે સમયે ૧૧ આતંકવાદીઓની છોડી મૂક્યા હતા.
ગુલાબનબી આઝાદના સાળાની મુક્તિ માટે કોંગ્રેસે જે તે સમયે ૨૧ આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝની દીકરીને આતંકવાદીઓ પાસેથી મુક્ત કરાવવા માટે કોંગ્રેસે નવ આતંકવાદીઓને છોડી મૂક્યા હતા.
હઝરતબાલની દરગાહમાં ઘેરાયેલા આતંકવાદીઓને બીરિયાની ખવડાવીને કાશ્મીરની બોર્ડર ઉપર મૂકવા જનાર બીજા કોઈ નહીં પરંતુ આ કોંગ્રેસી નેતાઓ જ હતા. બાટલા હાઉસમાં આતંકવાદીઓની કોણે ફેવર કરી હતી ? આતંકવાદીઓ માટે કોની આંખમાં આંસુ આવ્યા હતા ? કૉંગ્રેસનું આ પાપ સમગ્ર દેશ અને દુનિયા ખૂબ સારી રીતે જાણે છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U1kJZa
No comments:
Post a Comment