
ભાવનગર, તા. 01 માર્ચ 2019, શુક્રવાર
ભાવનગર જિલ્લાના અને તળાજા તાલુકાના તલ્લી-ભાંભોર ગામે અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા હાથ ધરવામાં આવેલ માઇનીંગ કામગીરીનો 10 થી વધુ ગામના લોકો વિરોધ દર્શાવી જનઆંદોલન ચલાવી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે થયેલી ઉપવાસ છાવણી બાદ આજે ઉચા કોટડાથી પ્રદર્શનકારીઓ માઇનીંગ સાઇડ પર આગળ વધતા પોલીસે 87 પ્રદર્શનકારીઓને ડિટેઇન કરી લીધા બાદ મુક્ત કરાયા હતા. વધુ એકવાર જનઆંદોલન આગળ વધતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભાવનગર જિલ્લાના અને તળાજા તાલુકાના તલ્લી-ભાંભોર ગામ વચ્ચે અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે રો મટિરીયલ્સ કાઢવા માઇનીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માઇનીંગ કામગીરીના વિરોધ સાથે થોડા સમય પૂર્વે 13 ગામના ખેડૂતો ફળદ્રુપ જમીન બચાવવા જાન દે દેંગે જમીન નહીં દેંગેના સુત્રોચ્ચાર સાથે ધસી જતા ખેડૂત પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં ટીયરગેસના સેલ છોડાયા હતા જેના પગલે પોલીસે 90થી વધુ પ્રદર્શનકારીઓ સામે પોલીસ પર હુમલા સબબ ફરિયાદ નોંધાવી હતી અને 92 પ્રદર્શનકારીની અટકાયત કરી લીધા બાદ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
દરમિયાન બે દિવસ પૂર્વે ઉચા કોટડા ગામે માઇનીંગના વિરોધ સાથે ભરતભાઇ ભીલ નામના યુવાને મૌન ઉપવાસ હાથ ધર્યા છે ત્યારે આજે સવારથી ઉચા કોટડા ગામે ખેડૂત પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને રેલી સાથે માઇનીંગ પોઇન્ટ તરફ આગળ વધતા જાહેરનામા સબબ બંદોબસ્તમાં રહેલ દાઠા PSI સહિતના સ્ટાફે 87 પ્ર ર્શનકારીઓને આજે સાંજે 4.20 કલાકના સુમારે જી.પી.એક્ટ 68 મુજબ ડિટેઇન કરી લીધા બાદ દાઠા પોલીસ મથક લઇ જવાયા હતા, દરમિયાન સાંજના 6.30 કલાકના સુમારે જી.પી.એક્ટ 69 મુજબ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.
માઇનીંગ પ્રોજેક્ટ દ્વારા માગવામાં આવેલ પોલીસ બંદોબસ્તની મંજૂરી પૂર્ણ થયા બાદ વધુ બંદોબસ્ત માટે માગ કરવામાં આવી હતી જેને લઇ મંજૂરીને એક માસ વધુ આગળ વધારવામાં આવતા પોલીસ બંદોબસ્ત યથાવત રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે પરિસ્થિતિને લઇ તલ્લી, ભાંભોર, ઉચા-નીચા કોટડા સહિતના ગામોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
નીચા-ઉચા કોટડા, તલ્લી-ભાંભોર સહિતના ગામો સજ્જડ બંધ
તળાજા તાલુકાના તલ્લી-ભાંભોર ગામે એલ્ટ્રાટ્રેક કંપની દ્વારા લીઝ પટ્ટા પરની જમીન પર માઇનીંગ કામ હાથ ધરતા 13 ગામના ખેડૂતોએ ફળદ્રુપ જમીન બચાવવા ભારે વિરોધ દાખવ્યો હતો અને તે વિરોધ યથાવત સ્થાને હોય ત્યારે આજે માઇનીંગના વિરોધ સાથે નીચા કોટડા, ઉચા કોટડા, કળસાર, દયાળ, તલ્લી, ભાંભોર સહિતના ગામ સજ્જડ બંધ રહ્યા હતા અને વેપારીઓ વેપાર-રોજગારથી અળગા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EGuy5p
No comments:
Post a Comment