
- ગૌરક્ષકે બાતમી આપતા સ્થાનિક પોલીસ સાથે, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ ત્રાટકી ઃ ત્રણ શખ્સો ફરાર ઃ છ પશુ જીવિત મળ્યા
મોસાલી, બુધવાર
સુરત જિલ્લાના માંગરોળ પોલીસની કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગ સફલ રહી હતી. તાલુકાનાં કોસાડી ગામની સીમમાં બાતમીનાં આધારે રેડ કરતા આઠ હજાર કિલો ગૌમાંસ અને ૭ ગાયના કપાયેલા માથા મળી આવ્યા હતાં. સ્થળ નજીકથી અન્ય છ જીવતા પશુઓ પણ મળી આવ્યા હતાં. પોલીસે આ કેસમાં ત્રણ સામે ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા છે.
મંગળવો રાત્રી દરમિયાન માંગરોળનાં પીએસઆઈ વી.કે.દેસાઈ પોલીસ જવાનો સાથે કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એલ.સી.બી. શાખાનાં પીએસઆઈ જે.એસ.કંડોરીયાને ગૌરક્ષક નેહલબેન પટેલે ફોન ઉપર માહિતી આપી કે, માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે કનવાડા નહેરની આગળ ખાડવાળી ખુલ્લી પડતર જગ્યામાં ગાયો કપાઈ રહી છે. જે આધારે માંગરોળ પોલીસ, એલ.સી.બી., એસ.ઓ.જી. અને જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમોએ રાત્રીના સવા બે વાગ્યે બાતમીવાળા સ્થળે રેડ કરી હતી.
જ્યાં ત્રણ શખ્સો છરાથી ગાયોની કતાલ કરી કટીંગ કરતા નજરે પડયા હતાં. આ શખ્સો પોલીસને જોતાં નાસવા લાગ્યા હતાં. આ ત્રણ સખ્સોની ઓળખ અગાઉથી પોલીસને મળી હતી. તે મુજબ કોસાડીનાં મહમદ હાસીમ મમજી, ઈમરાન હાસીમ મમજી, જાહીદ જેનાં પુરા નામની ખબર ન હતી. આ ત્રણેયને પકડવા પોલીસ ટીમોએ પીછો કર્યો હતો. પરંતુ અંધારાનો લાભ લઈ ત્રણે ફરાર થઈ ગયા હતાં. બનાવના સ્થળે પોલીસે તપાસ કરતા આ શખ્સો કોઈક જગ્યાએથી વાહનમાં પશુઓ લાવી તે પશુઓ પૈકી, સાત પશુઓની કતલ કરી હતી. જ્યારે અન્ય પશુઓ કતલ કરવા માટે જીવતા રાખી મુક્યા હતાં.
સ્થળ ઉપર સાત ગાયોનાં માથા કપાયેલા પડયા હતાં. અંદાજે ૮૦૦૦ કિલો ગાયનાં ચામડા અને ગૌ-માંસ મળી આવ્યું હતું. જેની અંદાજીત કિંમત રૂ. ૮ લાખ થાય છે. સ્થળ ઉપરથી પશુ કતલનાં સાધનો પણ મળી આવ્યા છે. નજીક આવેલા કોતરમાં જીવતા પશુઓ જે પણ કટીંગ કરવા માટે બાંધેલા મળી આવ્યા હતાં. જેમાં બળદો, એક ગાય, ત્રણ વાછરડી મળી કુલ છ જીવતા પશુઓ હતાં. જેની અંદાજીત કિંમત રૂ. ૫૯ હજાર થાય છે. કુલ રૂ. ૮,૫૯,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી, હેટ કોન્સ્ટેબલ રણજીતભાઈ ભંગીયાભાઈએ માંગરોળ પોલીસમાં ફરિયાદ આપી ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે.
ગામનું વાતાવરણ તંગ બનતા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો
આ બનાવને પગલે ગામનું વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. પોલીસે જીવતા પશુઓ માંગરોળ પોલીસ મથકે લાવી, આ પશુઓને નજીકનાં પાંજળાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌ-માંસનો જથ્થો વધુ હોવાથી ઘટના સ્થળ ઉપર જ જમીનમાં દાટી દેવા માટેની મંજૂરી મેળવવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી હતી. ગામમાં માંગરોળ પોલીસ, જિલ્લા એલ.સી.બી., જિલ્લા એસ.ઓ.જી., જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડનાં જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકીય નેતાઓના છૂપા આશીર્વાદથી કતલ થતી હોવાનો આક્ષેપ
ગૌ રક્ષકોએ જણાવ્યું છે કે જિલ્લામાં કોસાડી ગામે જ સૌથી વધુ ગૌ-માંસનો વેપલો થાય છે. ગૌ રક્ષકોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક રાજકીય નેતાઓનાં છૂપા આશીર્વાદ હેઠળ આ ગામમાં આ પ્રવૃત્તિ દિવસે-દિવસે વધી રહી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V1Drw6
No comments:
Post a Comment