
ગાંધીનગર,તા. 4 ફેબ્રુઆરી 2019, સોમવાર
ઠંડીના કારણે સ્વાઇનફલૂના ચેપી વાયરસ ફરી સક્રીય થયાં છે. સમગ્ર ગુજરાતમાં સ્વાઇનફલૂના દર્દીઓ વધી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર શહેર -જિલ્લામાં પણ પોઝિટિવ દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. તેવી સ્થિતિમાં આજે ગાંધીનગર પાસેના બોરીજ ગામની આઠ વર્ષિય બાળકી અને સે-૧૪ની વૃધ્ધા એમ બે પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. બંને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે ગાંધીનગર શહેરમાં કુલ સાત પોઝિટિવ દર્દી જ્યારે જિલ્લામાં બે મોત સહિત ૧૧ સ્વાઇનફલૂના કેસ નોંધાયાં છે.
સમગ્ર રાજ્યમાં સ્વાઇનફૂલના અતિચેપી અને જીવલેણ વાયરસ સક્રીય થયા છે. જેને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને પણ સજ્જ કરી દેવામાં આવી છે. તે વચ્ચે અગાઉ દહેગામની બાળકીનું સ્વાઇનફૂલથી મોત નિપજ્યું હતું. જેને લઇને ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇનફલૂના કેસ વધે નહીં અને શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ખાસ એક્શનપ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લાના સરકારી મેડિકલ ઓફિસર ઉપરાંત ખાનગી પ્રેક્ટીસ કરતાં તબીબોને પણ આ રોગચાળા અંગેે માહિતગાર કરીને શંકાસ્પદ લક્ષણ ધરાવતાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તે વચ્ચે ગાંધીનગર શહેરમાં વધુ બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે.
આ અંગે આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ બોરીજ ગામની આઠ વર્ષિય બાળકી તેમજ સેક્ટર-૧૪માં રહેતાં ૬૮ વર્ષિય વૃધ્ધાને છેલ્લા ઘણા દિવસથી શરદી-ઉધરસ અને તાવની ફરિયાદ હતી. જેને લઇને આ બંને દર્દીઓેને જે હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી ત્યાં એચવનએનવન ટેસ્ટ કરાવતાં આ બંને દર્દીઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જેના કારણે સારવાર સઘન કરી દેવામાં આવી છે એટલું જ નહીં દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ટેમીફલૂ આપી દેવામાં આવી છે. જ્યારે આ બંનેના રહેણાંક વિસ્તાર પાસે સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરમાં આ સાથે સ્વાઇનફલૂના દર્દીઓની સંખ્યા વધીને સાત સુધી પહોંચી ગઇ છે. ત્યારે જિલ્લામાં બે મોત સહિત ૧૧ પોઝિટિવ કેસ નોંધાયાં છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UIfHwB
No comments:
Post a Comment