
- નિવૃતિ પછી મકાનની શોધખોળમાં પડેલા વૃધ્ધ ગઠીયાઓની જાળમાં ફસાઈ ગયા
- નવ લોકો સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાઈ
ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતાં વૃધ્ધે નિવૃતિ પછી મકાનની શોધખોળ શરૂ કરી હતી તે દરમ્યાન ઈન્સ્યોરન્સમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને હોમલોન અપાવવાની લાલચ આપીને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કુલ ૧૭ લાખ રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાનું બહાર આવવા પામ્યું છે. આ મામલે કંટાળીને વૃધ્ધે સે-૭ પોલીસ સ્ટેશનમાં નવ લોકોના નામ અને મોબાઈલ નંબર તેમજ ખાતા નંબર સાથે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલમાં ઓનલાઈન છેતરપીંડી આચરતી ગઠીયા ટોળકીઓ સક્રિય છે ત્યારે વૃધ્ધો અને મહિલાઓને મોબાઈલ ઉપર ફોન કરી નવી નવી સ્કીમોની લોભામણી લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા પડાવતી આંતર રાજ્ય ટોળકી પણ સક્રિય થઈ છે. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં વૈદેહી રેસીડેન્સીમાં રહેતાં ૬૩ વર્ષીય દિપકકુમાર ભાઈશંકરભાઈ દવે વર્ષ ર૦૧૪માં નિવૃતી પછી મકાનની શોધમાં લાગ્યા હતા આ દરમ્યાન તેમના મોબાઈલ ફોન ઉપર સુનિત વર્મા નામના વ્યક્તિઓ ફોન કર્યો હતો અને ઈન્સ્યોરન્સમાં રોકાણ કરવાથી મોટી હોમલોન આપવાની લાલચ આપી હતી. જેથી તેમણે સૌથી પહેલા ૩ર હજારનો ચેક અને દસ્તાવેજો મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેમની ઉપર કોઈ કે.મિતલ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ર૬ લાખની હોમલોન અને ર૮ લાખ વીમાના પાસ થયા હોવાનું કહી ૧પ હજારના આરટીજીએસની માંગણી કરી હતી.
આમ છેલ્લા ચાર વર્ષ દરમ્યાન દિપકભાઈને ઈન્સ્યોરન્સના સર્વાઈલ બેનીફીટ, શેર ઈન્વેસ્ટમેન્ટ તથા હોમલોનની ફાઈલના નામે જુદાજુદા નંબર ઉપરથી ફોન ૬૦ લાખની લોન અપાવવાના બહાને ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેથી તેમણે આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને પણ અરજી કરી હતી.
ત્યારબાદ પણ આરોપીઓએ લોન આપવાની લાલચ આપતાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ હવે કંટાળીને તેમણે નવ વ્યક્તિઓ સામે છેતરપીંડીની ફરિયાદ સે-૭ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Sctpeo
No comments:
Post a Comment