સુરત, તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર
અમદાવાદના નરોડાથી નવરાત્રી દરમિયાન લાપત્તા સગીર કિશોરીને કતારગામ પોલીસે આજથી ચાર મહિના પહેલા ચકચારી કાનજી કુંભાર હત્યાના ગુનામાં પરિવારના અન્ય સભ્યો સાથે જેલમાં મોકલી આપી હતી.
અત્રે નોંધનીય છે કે કતારગામ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં કતારગામ ખાતે રહેતા કાનજી કુંભારને મેલી વિદ્યા ઉતારવાના બહાને મરનારના પત્ની, પુત્ર પુત્રવધુ તથા પુત્રીએ છાતી પર કૂદકા મારી આધેડ કાનજીભાઈનું મોત નીપજાવ્યું હતું.
આ કેસમાં કતારગામ પોલીસે મરનારની હત્યાના ગુનામાં તમામને જેલ ભેગા કર્યા હતા. આ કેસમાં કતારગામ પોલીસે અમદાવાદથી લાપત્તા સગીર કિશોરીને પણ 19 વર્ષની બતાવી જેલ ભેગી કરી હતી.
પરંતુ લાજપોર જેલમાં કેદ સગીર કિશોરીએ અમદાવાદ ખાતે રહેતી પોતાની મોટી બહેનને સુરતની લાજપોર જેલમાંથી ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી સગીર કિશોરીના માતા-પિતાએ પોતાની પુત્રી સગીર હોવા છતાં પુખ્ત ગણીને કતારગામ પોલીસે લાજપોર જેલમાં મોકલી છે એવું સુરત કોર્ટમાં અરજી કરી હતી.
જેના અનુસંધાને ભોગ બનનાર કિશોરીના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજી પુરાવાની ધ્યાને લઇ સગીરની ઉંમર 14 વર્ષની હોય આજે કતારગામ પોલીસને કિશોરીને કોર્ટમાં રજૂ કરવા હુકમ આપ્યો હતો.
જેથી આજે કતારગામ પોલીસે લાજપોર જેલમાથી સગીર કિશોરીને કોર્ટમાં રજુ કરતા તેને જુવેનાઇલ રિમાન્ડ હોમમાં મોકલી આપી હતી. જે દરમિયાન અમદાવાદ પોલીસ પણ આજે સુરત હાજર રહી હતી. અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગત નવરાત્રી દરમિયાન ઘરેથી લાપતા થયેલી કિશોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેથી અમદાવાદ પોલીસે પણ આ મામલે સર્ચ હાથ ધરી છે અને સુરત કોર્ટમાં હાજર રહી હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RDFHaB
No comments:
Post a Comment