- શાળામાં બાળકોની હાજરી માટે શિક્ષક, આચાર્ય, વ્યવસ્થાપન સમિતિ, સી.આર.સી., સહિતનાઓએ હાજરી માટે કામગીરી કરવાની રહેશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર
સુરત સહિત સમગ્ર રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા તથા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહે તે માટે શિક્ષકથી માંડીને સી.આર.સી. સુધીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં સતત ત્રણ દિવસથી માંડીને ત્રીસ દિવસ સુધી બાળક શાળાએ ન આવે તો કોણે કઈ કામગીરી કરવી તે માટેની ગાઈડલાઈન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે. આ પરિપત્રમાં સતત ત્રીસ દિવસ સુધી બાળક શાળામાં નહી આવે તો શાળાના હાજરી પત્રકમાંથી નામ કમી કરવા સુધીની સુચના આપવામાં આવી છે. જોકે, આ પહેલા ભાળકને શાળઆમાં લાવવા માટેની જવાબદારી નિભાવવા માટેની સુચના પણ આપવામાં આવી છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં બાળકોની નિયમિત હાજરી માટે નિયમોમાં જોગવાઈ કરવા સાથે બાળકો શાળાથી દુર ન જાય અને ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે માટેની સુચના આપવામા આવી છે. આ નિયમ અનુસંધાન જો ત્રણ દિવસ, સાત દિવસ, દસ દિવસ અને પંદર દિવસ, એકવીસ દિવસ બાળક ગેરહાજર રહે તો તેને શાળા સુધી લાવવા માટે શિક્ષકથી માંડીને સી.આર.સી. સુધીની કામગીરી સોંપવામાં આવી છે. વિદ્યાર્થી ગેરહાજર રહેતાં હોય તો શિક્ષક, આચાર્ય અને સી.આર.સી.એ વિદ્યાર્થીના ઘર અને વાલીની મુલાકાત લઈને વિદ્યાર્થી શાળામાં ફરી આવે તેની કામગીરી કરવાની રહેશે. તેમ છતાં પણ જો વિદ્યાર્થી સતત ૩૦ દિવસ સુધી ગેરહાજર રહે તો વિદ્યાર્થીને શાળા બહારનો ગણીને તેનું નામ શાળાના રજીસ્ટર્ડમાંથી કમી કરવાનું રહેસે. જોકે, વાલી જ્યાં સુધી શાળા છોડયાનું પ્રમાણપત્ર ન માગે ત્યાં સુધી વિદ્યાર્થીનું નામ જનરલ રજીસ્ટર્ડમાં રાખવાનું રહેશે તેવી સુચના આપવામાં આવી છે.
સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીની હાજરી નિયમિત રહે અને ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે માટે ઠરાવ કરી દીધો છે પરંતુ તેનો અમલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કેટલો થશે તે તો સમય જબતાવશે.
બાળકોની હાજરી માટે આ જવાબદારી રહેશે
- વિદ્યાર્થી સતત ત્રણ દિવસ ગેરહાજર રહે તો જે વિસ્તારમાંથી બાળક આવતું હોય તેની સાથેના બાળકની પુછપરછ શિક્ષકે કરીને માહિતી મેળવવાની રહેશે.
- સાત દિવસ સુધી વિદ્યાર્થી ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે વિદ્યાર્થીના ઘરે જઈને વાલીની રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થી શાળામાં આવે તેવી કામગીરી કરવાની રહેશે.
- દસ દિવસ સુધી વિદ્યાર્થી ગેરહાજર રહે તો મુખ્ય શિક્ષકે બાળકના ઘર વાલીની મુલાકાત લઈ શાળામાં ફરી દાખલ થાય તેવી કામગીરી કરવી પડશે.
- પંદર દિસ સુધી વિદ્યાર્થી ગેરહાજર રહે તો વ્યવસ્થા સ્થાપન સમિતિના અધ્યક્ષે ઉપર મુજબની કામગીરી કરવાની રહેશે.
- વિદ્યાર્થી 21 દિવસ ગેર હાજર રહે તો સી.આર.સી. કો ઓર્ડિનેટરે ઘરની મુલાકાત લઈને વિદ્યાર્થી શાળામાં આવે તેવી કામગીરી કરવાની રહેશે.
- આવી કામગીરી બાદ પણ જો સતત 30 દિવસ સુધી બાળક શાળામાંથી ગેરહાજર રહે તો શાળાના હાજરી પત્રકમાંથી નામ કમી કરવું પણ જનરલ રજીસ્ટર્ડમાં શાળા છોડયાનું પ્રમાણ પત્ર ન માગે ત્યાં સુધી નામ રાખવાની સુચના આપવામાં આવી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WMDM79
No comments:
Post a Comment