વડોદરા,મંગળવાર
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં થયેલી જૂથ અથડામણના પડઘા યાકુતપુરામાં પણ પડયા હતાં. તનવીરના ભાઇ અને સાગરિતોએ અન્નુના ઘરે જઇ પથ્થરમારો કર્યો હતો. તેમજ વાહનોની તોડફોડ પણ કરી હતી. તલવાર, પાઇપ અને હોકી વડે કરેલા હુમલામાં બે મહિલાઓને ઇજાઓ પહોંચી હતી. જે અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે બપોરે બે જૂથ વચ્ચે અથડામણના પગલે અરાજકતા ફેલાઇ હતી. બિચ્છુ ગેંગના સાગરિત તનવીર ઉર્ફે તન્નુ મલેકનો ભાઇ તોસીફ તેના પાંચ સાગરિતો સાથે અજબડીમીલ પાસે કલ્યાણનગર સોસાયટીમાં રહેતા અન્નુના ઘરે ધસી ગયા હતાં. તોસીફ મલેક તથા ભાઇલાલાના પુત્ર લાલા પાસે તલવાર હતી. જ્યારે અન્ય આરોપીઓ પાસે હોકી, પાઇપ અને લાકડી જેવા મારક હથિયારો હતાં. તોસીફે તલવાર વડે હુમલો કરી ખુરશીદબાનુને જમણા હાથના ખભા પર ઇજા પહોંચી હતી. આરોપીઓએ કરેલા પથ્થરમારામાં ખુરશીદબાનુના સાસુ આયશાબાનુને પગમાં ઇજા પહોંચી હતી. આરોપીઓએ ઘર પાસે પાર્ક થયેલા વાહનોની પણ તોડફોડ કરી હતી.
ખુરશીદબાનુના જેઠના પુત્રની મુસલમાની કરવાનો પ્રસંગ હોય ઘરે આવેલા મહેમાનોમાં પણ પથ્થરમારાના પગલે ભય ફેલાયો હતો. ખુરશીદબાનુની ફરિયાદના આધારે સિટિ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SuhWGb
No comments:
Post a Comment