અમદાવાદ, રવિવાર
દિવાળીના તહેવારો હવે અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે. આવતીકાલે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરશે. આમ, આવતીકાલે લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગશે. જોકે, અમદાવાદના મોટાભાગના વેપારીઓ આવતીકાલે મુહૂર્ત કર્યા બાદ ગુરુવારથી જ દૂકાન-ધંધો શરૃ કરશે.
કારકતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ આવતીકાલે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.
લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૃઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે.
આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર 'શુભ' , 'લાભ' લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં 'શ્રી સવા' લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને 'શ્રી પંચમી' તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.
આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહેવામાં આવી છે. દિવાળી બાદ મિની વેકેશન પૂર્ણ થાય ઇને બજારો ધમધમી ઉઠે તેવો મહત્વનો દિવસ એટલે લાભ પાંચમ. અનેક વેપારીઓ આવતીકાલે ચોપડા પૂજન ઉપરાંત કાંટા પૂજન કરતા હોય છે.
આજે જ્ઞાાન પંચમીની ઉજવણી કરાશે
હિન્દુ અને જૈન આ બંને ધર્મની પરંપરાઓમાં લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા (લક્ષ્મી અને સરસ્વતી) મનાય છે. વૈદિક ધર્મની લાભ પાંચમ જૈન ધર્મમાં જ્ઞાાન પંચમી બની રહી છે. જ્ઞાાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાાનની ઉપાસના, જ્ઞાાનના સંવર્ધન અને જ્ઞાાનના દાન માટે જ્ઞાાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કહેલા આગમ ગ્રંથોનું વાંચન-શ્રવણ-લેખન થાય છે. આવતીકાલે અમદાવાદના તમામ જૈન સંઘના ઉપાશ્રયમાં જ્ઞાાન તથા જ્ઞાાનના ઉપકરણોનું પ્રદર્શન જ્ઞાાન પૂજા અર્થે ગોઠવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ આચાર્ય સુરેન્દ્રસૂરીશ્વરજી તત્વજ્ઞાાન શાળાના ઉપક્રમે નારણપુરા ખાતે જ્ઞાાન ઉપકરણોનું પ્રદર્શન બે દિવસ માટે યોજાશે. ઉપાશ્રયમાં આવતીકાલે સવારથી પ્રતિક્રમણ, દેવવંદન, મા સરસ્વતી દેવીના પાઠ અને વ્યાખ્યાન કરાશે. ગ્રંથો, બારસા સૂત્ર, આગમ વગેરે મૂકીને ધૂપ, વાસક્ષેપથી પૂજન કરાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z4vpK5
No comments:
Post a Comment