
ગાંધીનગર,તા.26 ઓકટોબર 2020, સોમવાર
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે આલમપુરમાં રહેતા નિવૃત એસઆરપી જવાન તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે સે-ર૯માં સંબંધીના ઘરે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી તેમના મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી પ.૦પ લાખની મત્તા ચોરી લીધી હતી. ઘરે પહોંચેલા નિવૃત જવાનને ઘટના અંગે જાણ થતાં ચિલોડા પોલીસને ઘટનાથી વાકેફ કરી હતી. ચિલોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
દિવાળીના તહેવાર પહેલા ઘરફોડ ચોરીના બનાવો વધતાં હોય છે ત્યારે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોએ માથુ ઉંચકયું છે. ખાસ કરીને રાત્રીના સમયે બંધ મકાનો તસ્કરોના ટાર્ગેટ ઉપર રહે છે. શહેર નજીક આવેલા આલમપુર ગામમાં પણ એક રાત બંધ રહેલા મકાનને નિશાન બનાવાયું છે.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે આલમપુર ગામમાં આવેલી રાજધાની વસાહતમાં મકાન નં.ર૯માં રહેતા અને એસઆરપીમાંથી નિવૃત થયેલા સત્યનારાયણ હોંશિયારસિંહ આહીર ગત તા.ર૪મીએ રાતના સમયે તેમનું મકાન બંધ કરીને પત્નિ અને ભાણી સાથે સે-ર૯માં સંબંધીને ત્યાં ગયા હતા. મકાન બંધ કરીને તેમણે ચાવી પાડોશીના ઘરે આપી હતી. દરમ્યાનમાં ગઈકાલે સવારના સમયે તેઓ ઘરે પહોંચ્યા હતા અને પાડોશી પાસેથી ચાવી લઈને દરવાજા આગળ પહોંચતાં મકાનનું લોક મારેલું નહોતું અને મકાનમાં જઈને તપાસ કરતાં ઘરનો સરસામાન વેરણછેરણ હાલતમાં પડયો હતો. જેથી તેમને ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો. ઘરમાં તપાસ કરતાં તિજોરીમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી પ.૦પ લાખની મત્તા ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
જેના પગલે તેમણે ચિલોડા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદથી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી હતી. રાત્રીના સમયે વધેલી ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડના કારણે વસાહતીઓની ઉંઘ ઉડી ગઈ છે તો પોલીસે રાત્રી પેટ્રોલીંગ વધારવાની જરૂરીયાત ઉભી થઈ છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3orNxFH
No comments:
Post a Comment