વડોદરા, તા.26 જુલાઇ રવિવાર
રાજ્યના નાગરિકો માટે પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચાડવા માટેની વિવિધ યોજનાઓમાં પાયાની મહત્વની કામગીરી કરતા સિંચાઇ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીની ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરી ભૂસ્તરશાસ્ત્રી વગર જ ચાલી રહી છે. રાજ્ય સરકારને પણ આ કચેરીનું મહત્વ ના હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે આ કચેરી તેમજ તાબાની કચેરીઓમાં નવી ભરતી પણ કરવામાં આવતી નથી.
ગાંધીનગર ખાતેની આ કચેરીનો ચાર્જ ભૂસ્તરશાસ્ત્રીના બદલે એન્જિનિયર પાસે છે. આ કચેરીના તાબામાં વડોદરામાં પણ ઇજનેરી ભૂસ્તરીય વિભાગ આવેલ છે. આ કચેરીનું કાર્યક્ષેત્ર મધ્ય ગુજરાતમાં નડિયાદથી દક્ષિણ ગુજરાતમાં દમણગંગા સુધી વિસ્તરેલું છે. વડોદરા વિભાગની ભૂસ્તરશાસ્ત્રી-૧ની કચેરીમાં પણ ભૂસ્તરશાસ્ત્રી ચાર્જમાં છે જેઓ મહિનામાં એકાદ-બે વખત વડોદરા આવે છે. કુબેરભવનના નવમા માળે ઇ-બ્લોક ખાતે વિશાળ જગ્યામાં આ કચેરી આવેલી છે પરંતુ કચેરીમાં ગણ્યોગાંઠયો જ સ્ટાફ છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતની સિંચાઇને લગતી તમામ યોજના અને તેના બાંધકામની ભૂસ્તરશાસ્ત્રને લગતી કામગીરી કરતી આ કચેરીમાં વડોદરા વિભાગમાં આઠ ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા પૈકી માત્ર એક જગ્યા ભરાયેલી છે જ્યારે અન્ય જગ્યા ખાલી છે. આ ઉપરાંત દમણગંગા ભૂસ્તરીય એકમમાં બંને ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા ખાલી છે.
આ વિભાગમાં મંજૂર મહેકમ મુજબ ભરતી થઇ હતી પરંતુ અધિકારીઓ અથવા કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ નવી કોઇ ભરતી થતી નથી. ભૂસ્તરશાસ્ત્રી-૧ની કચેરીમાં વિવિધ પોસ્ટ પર મંજૂર થયેલી ૧૯ જગ્યાઓ પૈકી ૧૪ ખાલી જગ્યાઓ છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGzMAc
No comments:
Post a Comment