
નવી દિલ્હી, તા. 27 જુલાઈ 2020, સોમવાર
કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા અર્થતંત્રને બચાવવા માટે ભારતીય રિઝર્વ બેંક ફરી એક વખત વ્યાજ દરોમાં કાપ મુકી શકે છે. એક અહેવાલ પ્રમાણે આગામી નાણાંકીય નીતિ સમીક્ષા દરમિયાન આરબીઆઈ પ્રમુખ નીતિગત દર રેપોમાં 0.25 ટકાનો વધારાનો કાપ મુકી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 4 ઓગષ્ટથી આરબીઆઈના ગવર્નરની અધ્યક્ષતામાં નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસ ચાલનારી બેઠક શરૂ થશે અને 6 ઓગષ્ટના રોજ આ અંગેની જાહેરાત કરવામાં આવશે.
રિઝર્વ બેંક કોવિડ-19 મહામારીના પ્રકોપથી અર્થતંત્રને થનારા નુકસાન અને લોકડાઉનની અસર સીમિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. અગાઉ પણ માર્ચ અને મે મહીનામાં એમપીસીની બેઠક યોજાઈ ચુકી છે જેમાં નીતિગત રેપો દરોમાં કુલ 1.15 ટકા કાપ મુકવામાં આવ્યો.
છૂટક મોંઘવારીમાં વધારો
ખાદ્ય વસ્તુઓ અને ખાસ કરીને માંસ, માછલી, અનાજ અને દાળોની કિંમતોમાં હાલમાં જે તેજી આવી તેના કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારીત છૂટક મોંઘવારી જૂન મહીનામાં વધીને 6.09 થઈ ગઈ છે. રિઝર્વ બેંકે પોતે જ કીધેલું છે કે મોંઘવારીનું સુવિધાજનક સ્તર 4 ટકા (તેમાં 2 ટકા વધ ઘટ થઈ શકે) જ છે. મતલબ કે હવે મોંઘવારી રિઝર્વ બેંકની સુવિધાજનક શ્રેણીમાંથી બહાર પહોંચી છે.
શું છે અપેક્ષા
ઈક્રાના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું કે, 'અમે રેપો દરમાં 0.25 ટકા અને રિવર્સ રેપો દરમાં 0.35 ટકા કાપની અપેક્ષા રાખીએ છીએ.'
નાયરે કહ્યું કે, 'છૂટક મોંઘવારી એમપીસીના લક્ષ્ય 2-6 ટકાની શ્રેણીને પાર કરી ગઈ છે પરંતુ તે ઓગષ્ટ 2020 સુધીમાં ફરી તે સીમાની અંદર આવી જશે તેવી આશા છે.'
આ જ પ્રકારનો મત વ્યક્ત કરતા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના વહીવટી સંચાલક અને સીઈઓ રાજકિરણ રાયે જણાવ્યું કે, '0.25 ટકા કાપની સંભાવના છે અથવા તે દરને યથાવત રાખી શકે છે.'
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WY5bF6
No comments:
Post a Comment