
ગાંધીનગર, તા. 3 મે 2020, રવિવાર
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આ લોકડાઉન દરમ્યાન સવારના સમયે ઉતારવામાં આવતાં દુધ, દહીં અને છાશના કેરેટની ચોરીના કિસ્સા વધ્યા હતા ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે રીક્ષા સાથે રાંધેજાના બે શખ્સોને ઝડપી પાડયા હતા અને આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. સાગરીત સાથે મળી આ બે શખ્સોએ શહેરમાં આઠ સ્થળોએથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ચોરી કરેલું દુધ વેપારીને વેચી દેતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં લોકડાઉનનું કડકપણે પાલન કરાવવા પોલીસ મથી રહી છે પરંતુ છેલ્લા થોડા દિવસથી શહેર અને આસપાસના વિસ્તારોમાં સવારના સમયે ઉતારવામાં આવતાં દૂધ દહી અને છાશના કેરેટની કેન્દ્રો ઉપરથી ચોરાવાની ઘટના વધી ગઈ હતી. જેના પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આવા ગુનાઓ ઉકેલવા માટે તાકીદ કરી હતી જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી પેટ્રોલીંગ વધારવા સુચના આપી હતી. દરમ્યાનમાં પીએસઆઈ વી.કે.રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.જયદીપસિંહ, વિક્રમસિંહ અને દિપકસિંહની બાતમીના આધારે રાંધેજા ચાર રસ્તા પાસેથી રીક્ષા નં.જીજે-૧૮-એવાય-૮૨૭૮ સાથે સતીષ રમેશભાઈ ઠાકોર રહે.રાંધેજા પ્રાથમિક શાળા પાસે અને દિપક વિષ્ણુભાઈ રાવળ રહે.રાંધેજાને ઝડપી પાડયા હતા.
જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઈ નાસી છુટયો હતો. પોલીસે આ બન્ને શખ્સોની પુછપરછ કરતાં તેમણે કહયું હતું કે ભદ્રેશ રમેશભાઈ ઠાકોર અગાઉ મધુર ડેરીમાં નોકરી કરતો હોવાથી ગાંધીનગરના અલગ અલગ કેન્દ્રોમાં કેેરેટ ઉતારવા જતો હતો. જેથી આ ત્રણેય જણા અવારનવાર રાંધેજામાં રહેતાં આશિષ ચતુરજી ઠાકોરની રીક્ષા લઈને દુધ દહીં અને છાશના કેરેટ ચોરી કરતાં હતા જે રાંધેજા ખાતે આશિષ પાર્લરવાળા નરેશભાઈ શકરાભાઈ પટેલ અને અમુલ એજન્સીવાળા પ્રકાશભાઈ ગોવિંદભાઈ પટેલને વેચી દેતાં હતા.
ગાંધીનગર શહેરમાંથી અલગ અલગ આઠ જગ્યાઓએથી કેરેટની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેમાં સે-ર૧ પોલીસની હદમાં બે, ઈન્ફોસીટીની હદમાં બે અને અન્ય વિસ્તારોમાં ચાર જગ્યાએ ચોરી કરી હતી. પોલીસે તેમની પાસેથી રીક્ષા અને દુધના ૮૭ ખાલી કેરેટ પણ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SruHAj
No comments:
Post a Comment