
ગાંધીનગર,તા.01 મે 2020, શુક્રવાર
રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં ગત તા.ર૦ એપ્રિલે એકપણ કોરોનાનો દર્દી રહયો નહોતો ત્યારે છેલ્લા દસ જ દિવસમાં જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો પ૩ સુધી પહોંચી ગયો છે. ત્યારે ઓરેન્જ ઝોનમાં રહેલો ગાંધીનગર જિલ્લો હવે રેડ ઝોનમાં તબદીલ થઈ ગયો છે. જેનું મુખ્ય કારણ કોરોનાનું ઝડપી અને વધતું સંક્રમણ છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે હાલ લોકડાઉનની સ્થિતિ છે પરંતુ ગાંધીનગર શહેર અને જિલ્લાને અમદાવાદની નજીક રહેવાનું હાલ તો મોંઘુ પડી ગયું છે. કેમકે ગાંધીનગર શહેરમાં ગત તા.ર૦ માર્ચે કોરોનાનો પ્રથમ દર્દી મળ્યા બાદ તેના પરિવારના અન્ય દસ લોકો પણ સંક્રમિત થયા હતા. ગાંધીનગર શહેરના આ પરિવાર સિવાય અન્ય કોઈ કોરોના સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા નહોતા.
તા.ર૦મી એપ્રિલે ગાંધીનગર શહેર અને જિલ્લામાં એકપણ પોઝિટીવ દર્દી રહયો નહોતો. જેના કારણે કોરોનામુકત શહેર થઈ ગયું હોવાનો દાવો પણ કરાયો હતો. પરંતુ અમદાવાદથી અવરજવર કરતાં કર્મચારીઓ અને અન્ય લોકોના કારણે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ઓચિંતા જ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. તા.ર૪ એપ્રિલ સુધી ગ્રીન ઝોનમાં રહેલા ગાંધીનગર જિલ્લાને આજે કેન્દ્ર સરકારે રેડ ઝોનમાં મુકી દીધો છે.
શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર જ દિવસમાં ૩૦ દર્દીઓ નોંધાતાં ગાંધીનગર જિલ્લાને ઝડપી સંક્રમણ ફેલાતા ઝોનમાં મુકી દેવાની ફરજ પડી છે. એટલે હવે ગાંધીનગર જિલ્લામાં તા.૩ મે બાદ જે પ્રકારે ઝોન પ્રમાણે છુટછાટ આપવામાં આવનાર છે તેનો કોઈ લાભ મળશે નહીં. ગાંધીનગર શહેરમાં હાલ સે-ર૪, ર૩, ર૯, ૩, ર, ૮, ૭, ૧૩ ના કેટલાક વિસ્તારો કલ્સ્ટર કવોરેન્ટાઈન છે તો ગાંધીનગર જિલ્લામાં અડાલજ, રાંધેજા, કોલવડા, પેથાપુર, નાંદોલ, હાલીસા, ઈટાદરા, ચડાસણા, કલોલ શહેરના અમુક વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે. જયાં કોઈ પ્રકારની છુટછાટ મળશે નહીં.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2z4dhCJ
No comments:
Post a Comment