
ભુજ, તા. 05 ફેબ્રુઆરી બુધવાર 2020
મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં એક યુવાને બેરોજગારીથી કંટાળીને આપઘાત કરી લીધા બાદ આ ઘટનાથી લાગી આવતા તેના ગણતરીના કલાકોમાં જ તેના મિત્રએ પણ આપઘાત કરી લીધો હોવાની બહાર આવેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બંને બનાવમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વરમાં રહેતા મહાવીરસિંહ હોશિયારસિંહ જાડેજા(ઉ.વ.૩ર) નામના યુવાને ગઈકાલે મઘરાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બે સંતાનોના પિતા એવા આ યુવાને બેરોજગારીના કારણે આવું અંતિમવાદી પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે.
દરમિયાનમાં સવારે આ ઘટના અંગે મૃતક યુવાનના મિત્ર જયદિપસિંહ ભરતસિંહ જાડેજા(ઉ.વ.ર૭)ને આ ઘટનાથી આઘાત લાગતા તેણે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા આ યુવાને પોતાના મોબાઈલ ફોનમાં 'મિસ યુ જીગરા, હું ય આવું છું ટેન્શન નો લે' તેવું સ્ટેટ્સ મુક્યું હતું.
પોતાના મિત્રના મૃત્યુના આઘાતમાં આ યુવાને ગળાફાંસો ખાધો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. બે મિત્રોના આપઘાતના આ બનાવથી ભદ્રેશ્વર ગામ અને મુંદ્રા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. તેમજ કચ્છના ક્ષત્રિય સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bf2YL2
No comments:
Post a Comment