
ગાંધીનગર,તા.05 ફેબ્રુઆરી 2020 બુધવાર
ગાંધીનગર શહેરના સેક્ટર-૩૦માં બી કક્ષાના ૩૩૬ આવાસો બનાવવામાં આવ્યા છે. ઘણા વખતોથી આ મકાનો તૈયાર થઇ ગયા છે તેમ છતાં તેનું લોકાર્પણ કરવામાં આવતું નથી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મંત્રી કક્ષાએ ફાઇલ મુકવામાં આવી છે પરંતુ મંત્રીને રીબીન કાપવાનો સમય નહીં હોવાના કારણે આ તૈયાર મકાનો કર્મચારીઓને એલોટ થતાં નથી. તો બીજી બાજુ મકાનો માટે કર્મચારીઓનું વેઇટીંગ વધતું જ જાય છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં જુના, જોખમી અને જર્જરીત સરકારી આવાસો તોડીને ત્યાં હાઇરાઇઝડ્ બિલ્ડીંગો ઉભા કરી સરકારી કોલોની બનાવવામાં આવી રહી છે. સેક્ટર-૨૯માં આવી બે કોલોની ઉભી કરવાની સાથે સેક્ટર-૭માં પણ લીફ્ટ સહિતની સુવિધા ધરાવતી સરકારી કોલોની બનાવવામાં આવી છે. સેક્ટર-૩૦માં છેલ્લા ત્રણ વર્ષથી કોલોની બનાવવામાં આવી રહી છે.
જો કે આ સરકારી કોલોની છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર થઇ ગઇ હોવા છતાં તે કર્મચારીઓ માટે ખુલ્લી મુકવામાં આવતી નથી. આ અંગે આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સેક્ટર-૩૦માં બી કક્ષાના ૩૩૬ આવાસોની કોલોની ઉભી કરવામાં આવી છે. બે ત્રણ મહિનાથી આ કોલોની સંપૂર્ણ તૈયાર થઇ ગઇ છે.
એટલું જ નહીં કોલોનીના લોકાર્પણ માટે મંત્રી કક્ષાએ ફાઇલ પણ મોકલી આપવામાં આવી છે પરંતુ મંત્રીને કોલોનીની રીબીન કાપવાનો સમય જ મળતો નથી તેના કારણે આ ૩૩૬ મકાનોનું લોકાર્પણ દિવસે અને દિવસે પાછું ઠેલાઇ રહ્યું છે. તો બીજી બાજુ સરકારી આવાસોના અભાવે ગાંધીનગરમાં કર્મચારીઓની વેઇટીંગ વધતું જાય છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે પાંચ હજારથી પણ વધુ કર્મચારીઓનું વેઇટીંગ માર્ગ અને મકાન વિભાગના ચોપડે નોંધાયું છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/370OYB2
No comments:
Post a Comment