
રાજકોટ, તા 14 મે 2019, મંગળવાર
જસદણ તાલુકાના રામળિયા ગામની સીમમાં આશિષ અમરશીભાઈ ચનિયારા(ઉ.વ.૨૧)એ તેની વાડીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અઠવાડિયા બાદ જ તેના લગ્ન થવાના હતા. કંકોતરી આપવા જવાની માતા-પિતાએ ના પાડી હોવાથી લાગી આવતાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું ભાડલા પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટના ત્રંબા ગામે વીજતંત્રની ડિવિઝન ઓફિસમાં મીટર રીડર તરીકે નોકરી કરતા આશિષની સગાઈ બે વર્ષ પહેલાં પૂજા નામની યુવતી સાથે થઈ હતી. આગામી તા.૨૨ અને ૨૩ના રોજ તેના લગ્ન થવાના હતા. સગાં-વહાલાને કંકોતરી આપવાનું પણ ચાલુ હતું, એવામાં તેણે પોતે પણ કંકોતરી આપવા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તો માતા-પિતાએ તેને સમજાવ્યો કે જેના લગ્ન હોય તે કંકોતરી આપવા ન જઈ શકે. આશિષે મિત્રોને કંકતરી આપવાની જીદ કરી પણ પરિવાજનોએ તેને સમજાવતા કહ્યું કે, એ અમે આપી આવીશું.
એવામાં ગઈ કાલે સાંજે આશિષ વાડીએ સુરાપુરા બાપાને અગરબત્તી કરવા જઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. તેને પરત આવવામાં મોડું થતાં પિતા અમરશીભાઈ વાડીએ ગયા હતા. ત્યાં જોયું તો આશિષ બદામના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આશિષના પગ બાંધેલા હતા અને તેના મોઢે પટ્ટી લગાવેલી હોવાથી તેના પિતાએ આ બનાવ બાબતે શંકા વ્યક્ત કરી હતી. ભાડલા પોલીસે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાશનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું, જોકે એમાં શંકાને કોઈ સમર્થન મળ્યું નથી અને બનાવ આત્મહત્યાનો જ હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હોવાનું ભાડલા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2cb4l
No comments:
Post a Comment