સુરત જેવી દુર્ઘટના અટકાવવા ચોક્કસ કાર્યનીતિ - કાયદો ઘડાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 28 May 2019

સુરત જેવી દુર્ઘટના અટકાવવા ચોક્કસ કાર્યનીતિ - કાયદો ઘડાશે



અમદાવાદ તા.27 મે 2019, સોમવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સૂરતમાં ટયુશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટના જેવી ઘટનાઓ ફરી ન સર્જાય તે માટે રાજય સરકાર સંપૂર્ણ સજાગ છે. 

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં કસુરવારો સામે કડક હાથે કામ લેવા પ્રતિબધ્ધ છે અને કોઇ જ પ્રકારની બેદરકારી સાંખી લેવાશે નહિ જ. 

મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસના અગ્ર સચિવ મૂકેશ પૂરીએ સૂરત ટયૂશન કલાસ આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપ્યા બાદ તેમણે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. 

મુખ્યમંત્રીએ કહ્યું કે સેઇફ-ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવાની આપણી નેમ છે. લોકોના જીવ અમૂલ્ય છે અને આવી આગજની જેવી ઘટનાઓના કારણો સુધી જઇ તેને ભવિષ્યમાં થતી જ રોકવા જનજાગૃતિ માટે શહેરી વિકાસ વિભાગ, ફાયરબ્રિગેડ, ટાઉન પ્લાનીંગ અને કાયદા તેમજ ઊર્જા વિભાગના લોકો સાથે મળીને ચોક્કસ કાર્યનીતિ – કાયદો બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે. 

રૂપાણીએ આ સંદર્ભમાં કાયદામાં સુધારા-વધારા, નિયમીત ઇન્સ્પેકશન, એન્ફોર્સમેન્ટ તથા કસુરવારોની ક્રિમીનલ લાયાબિલીટી ફિકસ કરવા સુધીની કાર્યવાહી માટે પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સરકાર આવી ગંભીર દુર્ઘટનાઓ બાબતે કોઇ જ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી અને કસુરવારો સામે સખત પગલાં ભરશે. સેફટી-લોકોના જાનની રક્ષાને પ્રાયોરિટી આપીને સમગ્ર રાજ્યમાં બધા જ નગરો-મહાનગરોમાં ફાયર સેફટી અંગેનું ચુસ્ત પાલન રાજ્ય સરકાર કરાવશે જ એમ તેમણે ઉમેર્યુ હતું. 

મોટા શહેરો-નગરોમાં જ્યાં માસ ગેધરીંગ થતાં હોય તેવા કામકાજના સ્થળો એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલ્સ, મોલ, સિનેમાગૃહો વગેરેમાં ફાયર સેફટીની સજ્જતા સાધનોનું નિયમીત ચેકિંગ કરાશે. આવી વ્યવસ્થાઓ ન હોય ત્યાં નોટિસ આપી તેને બંધ કરવા સુધીની કાર્યવાહી પણ સરકાર કરશે. 

તેમણે હાઇરાઇઝડ બિલ્ડીંગ-આવાસો સહિતની જગ્યાએ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પ્રાપ્ત મેનપાવર ર૪ કલાક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થાઓ વિકસાવવા, લિફટમેન, સિકયુરિટી ગાર્ડસને વર્ષે એકવાર ફાયર સેફટી તાલીમ, તેમજ નિયમીત આવી સિસ્ટમના સંબંધિત મહાનગરપાલિકા- નગરપાલિકા તંત્ર દ્વારા ચેકિંગ માટે પણ સૂઝાવ વ્યકત કર્યો હતો. 

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરી તેમજ 

ફાયર સેફટી તજજ્ઞ પી. પી. વ્યાસ, અમદાવાદ – વડોદરાના ચીફ ફાયર ઓફિસરો, મ્યુનિસિપાલિટીઝ કમિશનર મહેન્દ્ર પટેલ સહિત ટાઉન પ્લાનીંગ, શહેરી વિકાસના અધિકારીઓ જોડાયા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VVnxTC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages