નવી દિલ્હી, તા.૧૪
આઇપીએલ બાદ હવે ક્રિકેટ ચાહકોની મીટ વર્લ્ડકપ તરફ મંડાઈ છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ભારે આત્મવિશ્વાસ બતાવતા કહ્યું છે કે, વર્લ્ડકપ વૉર જીતવા માટે ભારતીય ટીમમાં જરુરી 'ફાયર-પાવર' છે. ભારતની ટીમની વિશેષતા એ છે કે, ટીમ ગમે તેવી પરિસ્થિતિને અનુકૂળ થવા માટે સક્ષમ છે. વર્લ્ડકપના મુશ્કેલ પડકારો સામનો કરવા માટે ટીમ સક્ષમ છે. જોકે ટીમ કોમ્બિનેશનનું રહસ્ય અકબંધ રાખતાં શાસ્ત્રીએ ઊમેર્યું કે, અમે પીચ અને પરિસ્થિતિ જોયા બાદ ટીમ કોમ્બિનેશન નક્કી કરીશું.
ઈંગ્લેન્ડની ભૂમિ પર તારીખ ૩૦મી મે થી વર્લ્ડકપના મેગા મુકાબલાનો પ્રારંભ થઈ જશે. જોકે, ભારતની વર્લ્ડકપની સૌપ્રથમ મેચ તારીખ પાંચમી જુને સાઉથ આફ્રિકા સામે રમાશે. જોકે ટીમ ઈન્ડિયા તારીખ ૨૨મી મે એ વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થશે. ભારતને વર્લ્ડકપ અગાઉ બે પ્રેક્ટિસ મેચ રમવાની છે, જેમાની એક ન્યુઝીલેન્ડ સામે અને બીજી બાંગ્લાદેશ સામેની છે. ભારત ૨૫મી મે એ ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમશે. જ્યારે તારીખ ૨૮મી મે એ બાંગ્લાદેશ સામે ટકરાશે.
તમામ ૧૫ ખેલાડીઓ વિજયી દેખાવ કરવા સક્ષમ
વર્લ્ડકપની ટીમના ભારોભાર વખાણ કરતાં કોચ શાસ્ત્રીએ કહ્યું કે, મને લાગે છે કે, ટીમના સિલેક્શનમાં અમે તમામ પાસાને આવરી લીધા છે. ટીમમાં કોઈ ખેલાડીને જરુરીયાત વિના માત્ર પ્રવાસી તરીકે લઈ જવો કોને ગમે ? દરેક ટીમ ઈચ્છે કે, તેના તમામ ખેલાડીઓ વિજયી દેખાવ માટે સક્ષમ હોય. અમારી ટીમના તમામ ખેલાડીઓ ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે. જો અમારા કોઈ ફાસ્ટ બોલરને મેજર ઈજા થાય તો તેનો વિકલ્પ અમારી પાસે તૈયાર જ છે. આ પ્રકારે લગભગ તમામ વિકલ્પો અમે તૈયાર રાખ્યા છે અને તેમની સાથે અમે વર્લ્ડકપમાં રમવા જઈ રહ્યા છીએ.
ચોથા ક્રમના બેટ્સમેન તરીકે ઘણા વિકલ્પો છે
ભારતીય ટીમ વર્લ્ડકપમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે કોને મેદાનમાં ઉતારશે તે અંગે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. કોહલીએ જાહેરમાં કહ્યું હતુ કે, અમે વર્લ્ડકપમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે રાયડુને ઉતારીશું. જોકે ઓસ્ટ્રેલિયા સામેની એક સિરીઝના ફ્લોપ શૉને કારણે રાયડુને વર્લ્ડકપની ટીમમાં જ સ્થાન અપાયું નથી. તેના સ્થાને સાવ નવા-સવા ઓલરાઉન્ડર શંકરને તક મળી છે. જોકે, અનુભવહીન શંકરને ચોથા ક્રમે ઉતારવાનું લોજિક ક્રિકેટ વિવેચકોને જ ગળે ઉતરતું નથી. ત્યારે શાસ્ત્રીએ કહ્યું છે કે, અમારી પાસે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે ઘણા વિકલ્પો છે. મને ચોથા ક્રમે કોણ બેટીંગ કરશે તેની ચિંતા નથી.
ચાર વર્ષનો સમયગાળો એ જ વર્લ્ડકપનો પ્રિ-પ્લાન
ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા જેવી ટીમો હાલમાં વર્લ્ડકપની પૂર્વતૈયારીના ભાગરૃપે કેમ્પનું આયોજન કરી રહી છે. જ્યારે ભારતીય ક્રિકેટરો આઇપીએલનો થાક ઉતારી રહ્યા છે. કોચ શાસ્ત્રીએ કહ્યું છે કે, વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ માટે પૂર્વાયોજન જેવુ કશુ હોતું જ નથી. બસ તમારે પ્રવાહથી સાથે વહેવાનું હોય છે અને જુદી-જુદી પરિસ્થિતિ પર સ્વયંસંચાલિત રીતે પ્રતિક્રિયા આપવાની હોય છે. બે વર્લ્ડકપ વચ્ચે જે ચાર વર્ષનો સમયગાળો હોય છે, તે જ ખરેખર વર્લ્ડકપનો પ્રિ-પ્લાન હોય છે.
વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પર નજર રહેશે
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન શાસ્ત્રીએ કહ્યું કે, આગામી વર્લ્ડકપમાં મારા મતે ખળભળાટ મચાવે તેવી બે ટીમો વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા છે. અગાઉ જ્યારે વિન્ડિઝની ટીમ ભારત પ્રવાસે આવી ત્યારે જ મેં કહ્યું હતુ કે, ભલે તેમની ટીમમાં ગેલ કે રસેલ નથી છતાં તેઓ જોરદાર લડત આપશે અને શ્રેણી જીતવી આસાન નહિ રહે અને બન્યુ પણ એવું જ. આગામી વર્લ્ડકપમાં પણ વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પર નજર રહેશે, કારણ કે બંને ટીમોની પાસે જબરજસ્ત પ્રતિભા ધરાવતા ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ક્યારેય સ્પર્ધાત્મક ન હોય તેવું બને જ નહિ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vWprZI
No comments:
Post a Comment