
નવીદિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર
દિલ્હીને સંપૂર્ણ રાજ્ય કક્ષાનો દરજ્જો આપવાની આમ આદમી પાર્ટીની માગને મુર્ખામીભરી ગણાવી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જે.પી. અગ્રવાલે દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પોતાની સરકારની નિષ્ફળતા છુપાવવા લોકોનું ધ્યાન ભટકાવવા આ મુદ્દાને ઉઠાવે છે.
તેમણે આરોપ કર્યો હતો કે ૨૦૧૫માં આપ ના વડાએ જે વાયદા કર્યા હતા તેને પુરા કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. કેજરીવાલ અને તેમની સરકારે છેલ્લા ચાર વર્ષોમાં રાજ્યનો દરજ્જો મેળવવા શું કર્યું તે દિલ્હીની પ્રજાને બતાવે. કોંગ્રેસે આ વખતે ચાંદની ચોક મત વિસ્તારમાંથી કેન્દ્રના મંત્રી ડો.હર્ષ વર્ધનની સામે જે.પી. અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે.તો આમ આદમી પાર્ટીએ પંકજ ગુપ્તાને ટિકિટ આપી છે. દિલ્હીમાં ૧૨ મેના રોજ સાત લોકસભા બેઠકોની ચૂંટણી થશે. હર્ષ વર્ધન હાલમાં ચાંદની ચોકના સાંસદ છે.
દિલ્હીમાં પંદર વર્ષ સુધી શાસન કરનાર શીલા દિક્ષીતની સરકારે કરેલા વિકાસના કામોને આગળ ધરી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે સંપૂર્ણ રાજ્યના દરજ્જા વગર પણ વિકાસના કાર્યો કર્યા હતા.' આમ આદમી પાર્ટીની રાજ્યને સંપૂર્ણ દરજ્જો આપવાની માગ જાણે કે બાળહટ છે. શું દિલ્હીના લોકો તેમની પર વિશ્વાસ કરશે કે હસશે? તેમણે કંઇ જ કર્યું નથી એટલા માટે લોકોનું ધ્યાન હટાવવા કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો'એમ તેમણે કહ્યું હતું.
તેમણે દાવો કર્યો હતો કે આજે દિલ્હીમાં જે કંઇ વિકાસ થયેલો દેખાય છે તે કોંગ્રેસની સરકારમાં થયો હતો અને તે પણ રાજ્યના દરજ્જા વગર. અમે ફરીથી વિકાસના કાર્યો કરીશું અને તે પણ રાજ્યનો દરજ્જો મેળવ્યા વગર, એમ અગાઉ ઉત્તર દિલ્હીમાંથી લોકસભામાં ચૂંટાયેલા જે.પી. અગ્રવાલે કહ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે આપના લોકસભાના ચાર અને રાજ્ય સભાના ત્રણ સભ્યોએ સંસદમાં આ મુદ્દે શું કર્યું હતું તે દિલ્હીની પ્રજાને બતાવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZUptze
No comments:
Post a Comment