વડોદરા, તા. 25 મે 2019, શનિવાર
જમીન પરનો મોટામાં મોટો સસ્તનધારી પ્રાણી હાથી સમુહમાં જ જોવા મળે છે. સમુહના લીડર જે વયોવૃધ્ધ માદા હાથી હોય છે. અને તેના આદેશ પ્રમાણે જ બધાને ફરજિયાત અનુસરવું પડે છે. નર હાથી ફક્ત પ્રજનન માટે જ સમુહમાં જોડાય છે.
ફતેહસિંહ મ્યુઝિયમ ખાતે મહારાજા રણજિતસિંહ ગાયકવાડ સ્મૃતિ ચિહ્ન 'ગ્રંથાસ્વાદ'નું આયોજન કરાયું હતું. જેમાં કમાટીબાગ ઝૂના ક્યુરેટર ડો.પ્રત્યુશ પાટણકરે પર્યાવરણ પ્રેમીઓ સાથે પશુ-પક્ષીઓની વિશિષ્ટ ટેવો પર વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, હાથીના બચ્ચાનો ગર્ભકાળ ૨૨ મહિનાનો હોય છે અને બચ્ચાનું જન્મતા સાથેનું વજન ૮૦થી ૯૦ કિલોનું હોય છે. બચ્ચુ મોટુ ન થાય ત્યાં સુધી ગુ્રપની તમામ માદા હાથીઓ તેને પોતાના બાળકની જેમ ઉછેરે છે. નર બચ્ચા પુખ્ત થતા તેને ગુ્રપથી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તમામ બાળકો પોતાનું અલગથી 'બેચલર ગુ્રપ' બનાવે છે. જંગલમાં નર હાથી એકલો લટાર મારતો જોવા મળશે પરંતુ માદા હાથી ક્યારેય એકલી જોવા મળતી નથી. પાણી અને ખોરાક ક્યાં મળશે તેની મુખ્યા હાથીને ખબર હોય છે. અને તેના મૃત્યુ પછી તેની જ દીકરી તેનું પદ સંભાળે છે. તેની પાસે આ સમજ ક્યાંથી આવે છે તે આશ્ચર્યની વાત છે.
વિશ્વમાં બિલાડીઓની ૮૪ પ્રજાતિ છે. વાઘ, સિંહ, ચિત્તો અને દીપડો પણ બિલાડીની પ્રજાતિમાં જ આવે છે. જેમાં જેગુઆર, માઉન્ટેન જેવી સાત મોટી બિલાડીઓને મનુષ્યનો જરા પણ ડર લાગતો નથી.
જંગલનો રાજા સિંહની પણ અનેક રોચક વાતો છે. જેમકે સિંહોના ગુ્રપમાં હંમેશા સિંહણ જ શિકાર કરે છે. અને શિકારમાં જો જરુર પડે તો ભાગ્યેજ સિંહ ભાગ લે છે. પોતાના મનપસંદ માર્ગ પર લઈ જવાનું સિંહણોનું પ્લાનિંગ અકલ્પનીય હોય છે. સિંહણો એકબીજા સાથે સંદેશાની આપ-લે કેવી રીતે કરે છે તેનું રિસર્ચ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. સિંહણનું આકસ્મિક મોત થાય તો બાકીની માદા સિંહણ તેના બચ્ચાની સંભાળ લે છે. આ પ્રકારની સંવેદના બીજા પ્રકારની બિલાડીની પ્રજાતિમાં નથી. આ પ્રજાતિમાં વાઘ એકમાત્ર એવું પ્રાણી છે જેને પાણીમાં કલાકો સુધી પડી રહેવું ખૂબ પસંદ છે. વાઘણ પણ પોતાનું વર્ચસ્વ પાણીની આસપાસ જ રાખે છે.
અંગ્રેજો હાથીઓને વીકલી ઓફ આપતા..!
અંગ્રેજો જ્યારે જંગલમાંથી લાકડા કાપી યુરોપ લઈ જતા ત્યારે હાથીઓનો આ કામમા ઉપયોગ કરતા હતા. ઓફિસે કામ કરવા જતા કર્મચારીની જેમ અઠવાડિયામા એક દિવસ હાથીઓને પણ કામમાંથી રજા આપવામાં આવતી હતી. એક વખત અંગ્રેજોએ લાકડા કાપવાનું અને તેની હેરાફેરી કરવાનું કામ જલ્દી પૂર્ણ કરવા હાથીઓની અઠવાડિયાની રજા રદ કરવામાં આવી હતી તો એકપણ હાથી કામ કરવા વાડામાંથી બહાર નીકળ્યો નહોતો. જેને જોઈને અંગ્રેજોએ તમામ હાથીઓને ખોરાકની લાલચ આપી તેમ છતાં કોઈએ નમતુ જોખ્યુ નહોતું.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HzLlsi
No comments:
Post a Comment