
રાજકોટ,તા.25 મે 2019, શનિવાર
સુરતમાં ટયુશન ક્લાસમાં બેદરકારીના કારણે બનેલી દુર્ઘટનામાં માસુમ ભુલકાંઓ જે રીતે ચોથા માળેથી પટકાતા હતા તેના વિડીયો વાયરલ થતા દેશભરમાં લોકોના હૈયા કંપી ઉઠયા છે. લોકોએ સોશ્યલ મિડીયામાં કોમેન્ટ પોસ્ટ કરીને વ્યથા,દર્દ અને આક્રોશ વ્યક્ત કર્યા હતા.
એક કોમેન્ટ હતીઃ ૧૮૨ મીટર વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમા તો આપણે બનાવી શક્યા પણ ૪થા માળે પહોંચવા ઉતરવા સીડી ન બનાવી શક્યા? તો કોઈએ કહ્યું- આપણે ચંદ્ર પર,મંગળ પર પહોંચી ગયા પણ આગમાં માસુમ વિદ્યાર્થીઓ ભુંજાતા હતા તેમને બચાવવા ચોથા માળે કેમ ન પહોંચી શક્યા?તો કોઈએ આગ લાગે ત્યારે સલામત રીતે ચોથા-પાંચમા માળેથી નીચે ઉતરી શકાય તેવી સુરક્ષિત વ્યવસ્થાનો વિડીયો વાયરલ કર્યો અને કોમેન્ટ કરી. સુરતમાં ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચ્યુ પણ પૂરતા સાધનો ન્હોતો, બચાવ કાર્યને બદલે અગ્નિશમનનું કાર્ય જ થતું દેખાતું હતું આપણા ટેક્સના પૈસા જાય છે ક્યાં?
તો રાજકોટ કોંગ્રેસે શિક્ષણ મંત્રીનું રાજીનામુ માંગીને કહ્યું કે સ્કૂલ-કોલેજની ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવાય છે પણ વિદ્યાર્થીઓની સલામતીનું પણ ધ્યાન રખાતું નથી. મનપા અને શિક્ષણ ખાતા માટે સ્કૂલો કમાઉ દિકરાં છે, મોદી હૈ તો સબ મુમકિન હૈ તો પછી સુરતમાં વિદ્યાર્થીઓનો બચાવ કેમ મુમકિન ન થયો?
એકંદરે આ ઘટના તાજી છે ત્યાં સુધી મનપા-સરકાર પગલા લેશે કે પગલા લેવાનો દેખાવ કરશે પણ પછી બધુ રાબેતામૂજબ ચાલશે કે કેમ તે સો મણનો સવાલ છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EwUqQE
No comments:
Post a Comment