અમદાવાદ,રવિવાર
રાજ્યની કોર્પોરેશન સ્કૂલો તેમજ ગ્રાન્ટેડ-સરકારી સ્કૂલો અને કોલેજોમા ભણતા અનામત કેટેગરીના હજારો વિદ્યાર્થીઓને ચાલુ વર્ષની શિષ્યવૃત્તિ હજુ સુધી મળી નથી.સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે કોમન વેબસાઈટ પોર્ટલ બનાવાયુ છે અને જમાં તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થાય છે.મળતી માહિતી મુજબ સરકારી બેંકોમાં જે વિદ્યાર્થીઓના ખાતા છે તેઓને સ્કોલરશિપ મળી ચુકી છે પરંતુ કો-ઓપરેટિવ બેંકોમાં ખાતા ખોલાવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ શૈક્ષણકિ વર્ષ પુરુ થવા આવ્યુ છતાં મળી નથી.
સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોમાંથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો તેમજ કોલેજો-યુનિ.ઓમાં ભણતા એસસી,એસટી અને ઓબીસી કેટેગરીના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને દર વર્ષે સ્કોલરશિપ આપવામા આવે છે.અગાઉ વિદ્યાર્થીઓના સ્કૂલો-કોલેજોમાં ફોર્મ ભરીને જે તે કચેરીમાં મોકલવામા આવતા હતા અને ઓફલાઈન પ્રક્રિયા કરવામા આવતી હતી.પરંતુ છેલ્લા બે વર્ષથી સરકારે તમામ કેટેગરી વિદ્યાર્થીઓને સ્કોલરશિપમાં પારદર્શિતા અને સરળ તથા ત્વરીત પ્રક્રિયા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ બનાવ્યુ છે.જેમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થાય છે અને પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલી રાષ્ટ્રીયકૃત બેંકોથી માંડી કોઓપરેટિવ બેંકની માહિતી ભર્યા બાદ વિદ્યાર્થીને જે તે વર્ગની સમાજ કલ્યાણની કચેરી દ્વારા વિદ્યાર્થીના ખાતામા સીધા જ સ્કોલરશિપના નાણાં જમા કરવામા આવે છે.મળતી માહિતી મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારી રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે વિદ્યાર્થીઓના ખાતા છે તેઓને સ્કોલરશિપના નાણાં મળી ચુક્યાા છે પરંતુ જે વિદ્યાર્થીઓના બેંક ખાતા કોઓપરેટિવ બેંકોમાં છે તેઓને હજુ સુધી શિષ્યવૃત્તિના નાણાં મળ્યા નથી.
અગાઉ ડિજિટલ પોર્ટલ પર રજિસ્ટ્રેશનમાં તકલીફો પડતી હોવાની અને સર્વર ન ચાલતુ હોવાની ટેકનિકલ ખામીઓની પણ ફરિયાદો કરવામા આવી હતી.દરમિયાન કોર્પોરેશનની સ્કૂલોમાં ભણતા ૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપ મળી નથી.કોર્પોરેશન સ્કૂલોના ૫ હજારથી વધુ સહિત રાજ્યના સ્કૂલો-કોલેજોના જે વિદ્યાર્થીઓના બેંક ખાતા કોઓપરેટિવ બેંકોમાં છે તેવા ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપ મળી નથી.શૈક્ષણિક વર્ષ પુરુ થવા આવ્યુ તેમ છતાં શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓ-વાલીઓને મુશ્કેલી પડી રહી છે.જ્યારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા કોઓપરેટિવ બેંકોમાં ખાતા ધરાવનાર વિદ્યાર્થીઓ કેટલા છે તેમજ કેમ હજુ સુધી સ્કોલરશિપ મળી નથી તે બાબતે કોઈ તપાસ પણ કરાતી નથી.સરકારી બેંકોમાં ખાતા ખોલવા માટે જે નિશ્ચિત રકમ જમા કરવી પડે છે તે ગરીબ વાલીઓને ન પરવડતી હોવાથી કોઓપેરિટવ બેંકોમાં ઘણા વાલીઓ ખાતા ખોલાવે છે પરંતુ ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે કોઓપરેટિવ બેંકોમાં ખાતા ધરાવનાર વિદ્યાર્થીઓને ક્યારે સ્કોલરશિપ મળશે તે પણ નક્કી નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HN5NaJ
No comments:
Post a Comment