
અમદાવાદ, તા. 03 એપ્રિલ 2019, બુધવાર
વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વચ્ચે વણિકર ભવન ખાતે સર્જાયેલા ઘર્ષણમાં પોલીસની ભૂમિકા નિષ્પક્ષ હોવાનો ખુલાસો કરતું સોગંદનામું આજે પોલીસ તરફથી કરવામાં આવ્યું છે. પોલીસની રજૂઆત છે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વણિકર ભવન ખાતે પોલીસ કર્મચારીઓ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત એ.એચ.પી.ના કાર્યકરોને બહાર કાઢવામાં પોલીસે વિહિપની મદદ કરી હોવાનો આક્ષેપ પણ ખોટો છે.
પોલીસની રજૂઆત છે કે વિહિપના એક આગેવાને પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી પોલીસ રક્ષણની માગણી કરી હતી. તેથી ત્યાં પોલીસકર્મીઓનો કાફલો મૂકવામાં આવ્યો હતો.
જ્યારે ઘર્ષણ સર્જાયુ ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કામગીરી કરી હતી. આ કામગીરીમાં પાલડી પોલીસ સ્ટેશના ઇન્સપેક્ટર સહિતના કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ તથ્યવિહિન છે. અરજદારનો આક્ષેપ છે કે વિહિપના કાર્યકરોએ વણિકર ભવનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. હકીકત એ છે કે વણિકર ભવનના ટ્રસ્ટ અને તેની માલિકી મુદ્દેનો કેસ ચેરિટી કમિશનર સમક્ષ ચાલી રહ્યો છે. તેથી ભવનની માલિકી અને ત્યાં કોના દ્વારા થતો પ્રવેશ ગેરકાયદે છે તે પોલીસ નક્કી કરી શકે નહીં. વણિકર ભવનમાં ઘણાં સમયથી કામ કરતા એક મહિલા અને ત્યાં તૈનાત કરાયેલા એસ.આર.પી. જવાનોએ પણ તેમના નિવેદનમાં કહ્યું છે કે પોલીસે એ.એચ.પી.ના કાર્યકરોને બહાર કાઢ્યા નથી કે કોઇ ગેરકાયદે પગલાં લીધા નથી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રજૂઆત છે કે પહેલા તેઓ વિશ્વ હિન્દુ પરિષદનો ભાગ હતા અને હવે તેમની સંસ્થા વિહિપમાંથી છૂટી પડી છે. જો કે વણિકર ભવન ઉત્તર ગુજરાત હિન્દુ પરિષદ દ્વારા ભાડાપટ્ટે લેવાયેલું છે અને જુલાઇ-૨૦૧૮માં ભાડા કરાર રિન્યુ પણ કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાત હિન્દુ પરિષદ સાથે જોડાયેલા વણિકર ભવનના ટ્રસ્ટીઓ હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો ભાગ છે. તેથી આ જગ્યા પર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો અધિકાર છે, છતાં પણ ૯મી ફેબુ્રઆરીના રોજ વિહિપના કેટલાંક કાર્યકરોએ પોલીસના મેળાપીપણાંથી વણિકર ભવનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને એ.એચ.પી.ના કાર્યકરોને ત્યાંથી બહાર કાઢ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં પાલડી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટરની ભૂમિકા પણ શંકાસ્પદ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FOGRvI
No comments:
Post a Comment