
સંયુક્ત રાષ્ટ્રમાં ૧૦ વર્ષમાં ચોથી વખત મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની માગ
સંયુક્ત રાષ્ટ્ર, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
ભારતમાં પુલવામા સહીતના આતંકી હુમલાઓમાં સામેલ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની ભારતની માગણીને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની મદદ મળી છે.
આ ત્રણેય દેશોએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા કાઉન્સિલમાં નવો પ્રસ્તાવ મુક્યો છે અને માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે પાકિસ્તાનના આ આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવે અને તેના પર આકરા પ્રતિબંધો મુકવામા આવે. આ પરિસ્થિતિ વચ્ચે હવે જ્યારે મોટા ભાગના દેશો મસૂદ અઝહર મુદ્દે ભારતની સાથે આવી ગયા છે ત્યારે ચીને હજુસુધી મૌન તોડયું નથી.
ચીને અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાની ના પાડી દીધી હતી. જોકે પુલવામા હુમલા બાદ ચીને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આતંકવાદના ખાતમા માટે અમે ભારતની સાથે છીએ.
આ સ્થિતિ વચ્ચે હવે સંયુક્ત રાષ્ટ્રમાં ચીન શું પગલા લેશે તેના પર સૌની નજર છે. જોકે એવું નથી કે પહેલી વખત જ મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાની માગણી સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠી છે. હાલ અમેરિકા સહીતના દેશોએ જે પ્રસ્તાવ મસૂદને આતંકી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને મોકલ્યો છે તે ચોથો પ્રયાસ છે. છેલ્લા ૧૦ વર્ષમાં અગાઉ ત્રણ વખત આ જ પ્રકારનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ સામે મુકવામાં આવ્યો છે.
એક વખત મસૂદને આતંકી જાહેર કરી દેવામાં આવે તો તેના પર આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ બેન આવી જશે અને તે કોઇ પણ દેશમાં કાયદેસર રીતે અવર જવર નહીં કરી શકે. આ ઉપરાંત તેની જેટલી પણ સંપત્તિઓ વિદેશમાં હશે તેને જપ્ત કરી લેવામાં આવશે.
સાથે પાકિસ્તાનના કોઇ નેતા જાહેરમાં મસૂદની સાથે જોવા મળશે તો પાકિસ્તાન પર દબાણ વધારવામાં આવી શકે છે. સૌથી પહેલા ૨૦૦૯માં મસૂદ અઝહર પર પ્રતિબંધની માગણી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કરી હતી. જે બાદ ૨૦૧૬માં પણ આ જ પ્રકારના પ્રયાસો થયા હતા પણ ચીને અવળચંડાઇ કરતા ભારતને સફળતા નહોતી મળી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TnyxvU
No comments:
Post a Comment