નવી દિલ્હી, તા. 25 માર્ચ 2019, સોમવાર
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા બોટયાત્રા બાદ હવે રેલયાત્રા દ્વારા લોકોનો સંપર્ક કરશે. પ્રિયંકા ગાંધી 27 માર્ચે દિલ્હીથી ફૈઝાબાદ વચ્ચે ટ્રેન યાત્રા કરશે. આ યાત્રામાં વચ્ચે આવનારી તમામ બેઠકો પરના લોકો સાથે તેઓ વાતચીત કરશે. અગાઉ મતદારોના સંપર્ક માટે પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી વારાણસી સુધી નૌકાયાત્રા કરી હતી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રોડ શો પણ કરશે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ પવિત્ર શહેરના કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશે કે નહીં. કોંગ્રેસના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી દિલ્હીથી કૈફિયત એક્સપ્રેસ દ્વારા ફૈઝાબાદ જવા રવાના થશે. ફૈઝાબાદ રેલવે સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં થોડો સમય રોકાયા બાદ તેઓ સવારે 10 વાગ્યે અયોધ્યામાં રોડ શો કરશે.
દરમિયાન સોમવારે કોંગ્રેસની વર્કીંગ કમિટીની બેઠકમાં લોકસભા ચૂંટણી માટેના ઢંઢેરાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, અહેમદ પટેલ, એ.કે. એન્ટની, ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની અને આનંદ શર્મા હાજર રહેશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TU8b5W
No comments:
Post a Comment