ગાંધીનગર, તા.10 માર્ચ 2019,રવિવાર
પાટનગરને અડીને આવેલા કોલવડા ગામથી ગાંધીનગર આવવાના રસ્તા ઉપર આવેલા ૨૦૦થી પણ વધુ મકાનોમાં છેલ્લા એક મહિનાથી પાણી પુરવઠો આપવામાં આવતો નથી. રોડ બનતો હોવાને કારણે બંધ કરવામાં આવેલો પુરવઠો રોડ બની ગયો હોવા છતા પણ શરૃ નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જો કે આ પાણીના પ્રાણ પ્રશ્ને સ્થાનિક રાજકારણીઓથી લઈને અધીકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમના દ્વારા પણ કોઈ ઠોસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
ગાંધીનગર નજીકના કોલવડા ગામમાં અગાઉ બોર ફેઇલ જવાને કારણે પાણીની પારાયણ મંડાઇ હતી ત્યારે ગામથી ગાંધીનગર આવવાના રસ્તા ઉપરા આવેલા ૨૦૦ જેટલા મકાનોમાં છેલ્લા એક મહિનાથી પાણી પુરવઠો નહીં આવતો હોવાને કારણે આ ગામમાં ફરી પાણીનો કકળાટ ઉભો થયો છે.
અહીંથી રોડ બનતો હોવાને કારણે અગાઉ પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો પરંતુ રોડ બની ગયા બાદ પણ અહીં પુરવઠો પુર્વવત કરાયો નથી. ઉનાળાનું આગમન ધીરે ધીરે થઇ રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં પાણી નહીં મળવાને કારણે અહીં રહેતા એક હજાર જેટલા સભ્યોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારના ગ્રામજનો દ્વારારૂપિયા ખર્ચીને પીવાનું પાણી મંગાવે છે તો રોજીંદી ક્રિયા માટે પણ તકલીફ ઉભી થઈ છે આવી સ્થિતિમાં ગ્રામજનોએ સ્થાનિક રાજકારણીઓથી લઈ અધિકારીઓ સુધી લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ આ પ્રશ્નનું કોઈ ઠોસ નિરાકરણ આવતું નથી.
ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત દ્વારા રેતી કાંકરી સહિતની ગ્રાંટ પાણી તેમજ અન્ય જીવન જરૃરીયાતની સેવાઓ પાછળ વાપરવી તેવો નિર્ણય કર્યો છે તેમ છતાં કોલવડામાં પાણીના પ્રશ્નના નિરાકરણ માટે ગ્રામપંચાયતથી લઇને જિલ્લા પંચાયત સુધી કોઇ તંત્ર દ્વારા પગલા લેવાતા નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UEy3yI
No comments:
Post a Comment