રાધનપુરના ગામોમાં નર્મદાના નફ્ફટ તંત્રએ લાખો લીટર પાણી બગાડયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

રાધનપુરના ગામોમાં નર્મદાના નફ્ફટ તંત્રએ લાખો લીટર પાણી બગાડયું

રાધનપુર, તા. 27 માર્ચ 2019, બુધવાર

અછતગ્રસ્ત પાટણ જિલ્લાના છેવાડે આવેલ રાધનપુર, સાંતલપુર તાલુકાના કેટલાક ગામમાં ઉનાળાની શરૃઆતમાં જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થવા પામી છે. સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા આ પંથકના લોકોની હાલત કફોડી બની જવા પામી છે. પાણીની અછત વચ્ચે નર્મદા નિગમ દ્વારા લાખ્ખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

રાધનપુર-સાંતલપુર તાલુકામાં ઉનાળાના પ્રારભે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. કેટલાક ગામોમાં આજે પીવાનું પાણી ન મળવાને કારણે મહિલાઓને દૂર પાણી ભરવા માથે બેડા ઉપાડીને જવું પડે છે. ચોમાસામાં વરસાદ નહિવત પડવાને કારણે આ વિસ્તારમાં આવેલા તળાવો અને ચેકડેમો પાણી વગર સુકા ભાસે છે. ત્યારે આ વર્ષે લોકોને નર્મદા કેનાલ દ્વારા પાણી મળી રહેશે તેવી આશા હતી પરંતુ સરકાર દ્વારા કેનાલોમાં પાણી બંધ કરવામાં આવતા અહીં રહેતા લોકો માટ ેકપરી પરિસ્થિતિું નિર્માણ થવા પામ્યું છે. આજે છેવાડાના પંદરથી પણ વધારે ગામોને ટેન્કર દ્વારા પુરું પાડવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આજે આ વિસ્તારના લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે સાંતલપુર તાલુકાના ઝઝામ પાસે કરોડોના ખર્ચે કચ્છ બ્રાન્ચ કેનાલ પર બનાવવામાં આવેલ સાયફોનમાંથી લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

કચ્છ બ્રાન્ચ કેનાલ પર બનાવવામાં આવેલ સાયફોન છેલ્લા ચારેક વર્ષથી લીકેજ હોવાને કારણે કેનાલનું પાણી રણમાં વહી જતું હતું. આ બાબતે સ્થાનિક આગેવાનો અને રાજ નેતાઓ દ્વારા વારંવાર નર્મદાના અધિકારીઓ તેમજ સરકારમાં રજુઆતો કરવામાં આવી હતી પરંતુ નઘરોળ તંત્ર દ્વારા રણમાં વહી જતા પાણીને અટકાવવા ચાર વર્ષમાં કોઈ જ નક્કર પગલા ભરવામાં આવ્યા ન હતા.

જ્યારે આ વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે નર્મદાના નિગમ દ્વારા એકાએક સાયપોન રીપેરીંગ કરવાની કામગીરી શરૃ કરાવવામાં આવી છે. જેમાં સાયફોનમાં ભરાયેલ પાણીને કાઢવા વાલ્વ ખોલવામાં આવતા સાયફોનમાં રહેલ પાણીનો વેડફાટ થતો હતો. છેલ્લા પાંચેક દિવસથી સાયફોનના વાલ્વ ખોલી પાણી કાઢવાની કામગીરી કરવામાં આવતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

સાયફોનમાં રહેલ હજારો લીટર પાણી પણ કોઈ પણ ઉપયોગ વગર રણમાં વહી જતું હોવાનું પણ લોકોએ જણાવ્યુ ંહતું. સાયફોનમાંથી નીકાળવામાં આવતું પાણી રણમાં જવા દેવાને બદલે આગળ કચ્છ તરફ જતી કેનાલમાં વાળવામાં આવ્યું હોત તો પાણીની તકલીફ વેઠતા આગળના ગામોને પાણી ઉપયોગમાં આવત પરંતુ હાલે રમમાં પાણી વેડફાતું હોવાને કારણે લોકોનો નર્મદાના અધિકારીઓ સામે રોષ વ્યાપ્યો હતો. આજે કેટલાક ગામોમાં એક બેડુ પીવાના પાણી માટે મહિલાઓને કિલોમીટર દૂર રઝળવું પડે છે ત્યારે કેનાલમાંથી લાખો લીટર પાણીનો રણમાં વેડફાટ કરતા નર્મદાના અધિકારીઓ સામે રાજ્ય સરકાર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સાયફોન રીપેરીંગ કરવા પાણી કાઢવામાં આવી રહ્યું છે, નર્મદા અધિકારી

સાયફોન કીલેજ હતું તેને રીપેરીંગ કરવા સાયફોનમાં ભરાઈ રહેલ પાણી બહાર નીકાળવું પડે તેમ છે અને આ પાણી ક્યાં જાય છે તે બાબતે મારા ઈજનેરને મારે પુછવું પડશે પાણીને ઉપયોગમાં લેવા નવી કેનાલ બનાવવી પડે જે અશક્ય હોવાનું કચ્છ બ્રાન્ચ કેનાલના અધિકારી મહંતે જણાવ્યું હતું.

પાણીથી તળાવો ભર્યા હોત તો ઢોર ઢાંખરને રાહત થાત, લોકો

ચારેક વર્ષથી સાયફોન લીકેજ થતું હતું અને રણમાં પાણી વેડફાતું હતું. જ્યારે આ વર્ષે દુષ્કાળ પડયો છે ત્યારે તળાવો ખાલીખમ છે અને ઢોરઢાંખર માટે પણ પીવા પાણી નથી ત્યારે સાયફોનમાંથી કાઢવામાં આવતા પાણીને રણમાં જતું અટકાવીને તળાવો કે ચેકડેમો ભર્યા હોત તો ભરઉનાળામાં ઢોરોને રાહત થાય તેવું લોકોએ જણાવ્યું હતું.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TGwQWs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages