મોરબી,તા.25 માર્ચ 2019,સોમવાર
મોરબી જિલ્લાને પાકવીમામાં અન્યાય થતા માળિયા તાલુકા સરપંચ એસો દ્વારા મીટીંગ યોજી પાકવીમા મુદ્દે લડત આપવાનું નક્કી કર્યા બાદ આજે મોરબી તાલુકા સરપંચ એસોની બેઠક ત્રિમંદિર ખાતે મળી હતી. જયાં વિવિધ મુદ્દે ચર્ચા બાદ કલેકટર મારફત રાજયના મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોરબી જિલ્લાના ત્રણ તાલુકાને અછતગ્રસ્ત અને બે તાલુકાને અસરગ્રસ્તમાં સમાવેશ કરવા છતાં પાકવીમામાં ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોય જેથી આજે મોરબી તાલુકા સરપંચ એસો.ની બેઠક મળી હતી. મોરબી તાલુકાના ૧૦૨ ગામના સરપંચોની મળેલી બેઠકમાં પાકવીમા અન્યાય મામલે સરકાર પુનઃ વિચાર કરે તે મામલે રજુઆત કરવામાં આવી હતી.
પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૮ ના મગફળી અને કપાસના પાકવીમામાં તાલુકાના ખેડૂતને અન્યાય થયો છે. ૨૦૧૮માં મોરબી તાલુકાને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરેલ છે અને કૃષિ ઈનપુટ સહાય ચુકવવામાં આવી છે જયારે સરકારે કૃષિ ઈનપુટ સહાય ચૂકવેલ છે તેનો અર્થ એવો થાય છે કે તાલુકાના ખેડૂતોનું મગફળી કપાસનું વાવેતર નિષ્ફળ ગયેલ છે તેમજ પાક નિષ્ફળ ગયેલ હોય.
જેથી વીમા કંપની દ્વારા પાકવીમો ૧૦૦ ટકા મળવું જોઈએ જેની જગ્યાએ મોરબી તાલુકાના ખેડૂતોને ખુબ જ ઓછા પ્રમાણમાં પાકવીમો મળે છે જે ખરેખર અન્યાયકર્તા છે જેટલું પ્રીમીયમ સરકાર તથા ખેડૂતો દ્વારા વીમા કંપનીને ચુકવવામાં આવે છે તેના ૫૦ ટકા પણ પાક વીમો ચુકવવામાં આવેલ નથી જેથી સરકાર વીમા કંપનીને ફેર વિચારણા કરવાનું કહીને મોરબી તાલુકાનાં ખેડૂતોને મગફળી અને કપાસના પાક વીમામાં ન્યાય અપાવે તેવી માંગ કરી છે.
આ ઉપરાંત ચાલુ વર્ષે મગફળી પાકવીમો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને અન્યાય થયેલ છે. મોરબી તાલુકામાં ૧૭ ટકા માળિયા તાલુકામાં ૩૫ ટકા અને ટંકારા તાલુકામાં ૨૯ ટકા મગફળીનો પાકવીમો મંજુર કરાયો છે. જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના નિયમો અનુસાર વિસંગતતા છે. જે મામલે મોરબી માર્કેટિંગ યાર્ડ ચેરમેન પણ કૃષિ મંત્રીને રજુઆત કરી ખેડુતોને થયેલો અન્યાય દૂર કરવા માંગ કરી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U9sSKm
No comments:
Post a Comment