
પાકિસ્તાનને આતંકી કેમ્પોની જાણકારી મેળવવામાં એક મહિનો લાગ્યો, આતંકીઓને સુરક્ષીત સ્થળે ખસેડી લીધા હોવાના અહેવાલો
(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર
પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના અઢળક પુરાવા છે, આ પુરાવાને ડોઝિયર સ્વરુપે પાકિસ્તાનને સોપવામાં આવ્યા હતા. જેમાં ભારતે પાકિસ્તાનમાં જે સ્થળે આતંકી કેમ્પો છે તેની પણ માહિતી આપી હતી.
જોકે પાકિસ્તાન પોતાના બચાવમાં ઉતરી ગયું છે અને દાવો કર્યો છે કે ભારતે પાક.માં જે પણ સ્થળે આતંકી કેમ્પો હોવાનો દાવો કર્યો હતો તે સાચો નથી કેમ કે ભારતે જે ૨૨ સ્થળોની યાદી અમને સોપી હતી તેની અમે તપાસ કરતા આવા કોઇ જ સ્થળે આતંકી કેમ્પો ન હોવાનું સામે આવ્યું છે તેવા જુઠાણા પાકિસ્તાને ફેલાવ્યા હતા.
પુલવામા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા, આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી, ભારતે આતંકી હુમલા પાછળ પાકિસ્તાન હોવાના પુરાવા પણ આપ્યા હતા. જોકે વિશ્વમાં બદનામી ન થાય તેથી હવે પાકિસ્તાન પોતાના કાળા કામો છુપાવી રહ્યંુ છે અને દાવો કરી રહ્યું છે કે ભારતે આતંકી કેમ્પો સક્રિય હોવાના જે દાવા કર્યા છે તે સાચા નથી.
તેમ છતા જો ભારત આ વિસ્તારમાં આવીને તપાસ કરવા માગે તો અમે તેને પણ છુટ આપી શકીએ તેમ છીએ. એટલુ જ નહીં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં જે પણ ૫૦થી વધુની ધરપકડ કરી છે તેને પણ પુલવામા હુમલા સાથે કઇ જ લેવાદેવા નથી.
પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને સ્વીકારી હતી, અને આ સંગઠન પાકિસ્તાનમાં સક્રીય છે, તેનો વડો અઝહર મસૂદ પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
ખુદ પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે મસૂદ હાલ અમારા દેશમાં છે અને બિમાર હોવાથી સારવાર લઇ રહ્યો છે. ત્યારે હવે એવા દાવા કરી રહ્યું છે કે પુલવામા હુમલા બાદ ભારતે જે યાદી સોપી છે તે ૨૨ સ્થળોની અમે તપાસ કરતા માલૂમ પડયું છે કે આવા કોઇ જ કેમ્પો આ વિસ્તારોમાં સક્રીય નથી.
અગાઉ પાકિસ્તાને કહ્યું હતું કે અમે જે પણ શંકાસ્પદો અને આતંકીઓની ધરપકડ કરી છે તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે કે જેમના નામ ભારતે અમને જે ડોઝિયર સોપ્યું તેમાં છે. હવે આ મુદ્દે પણ પાકિસ્તાને પલટી મારી છે અને જુઠાણા ફેલાવતા કહી રહ્યંુ છે કે અમે જેમની પણ ધરપકડ કરી છે તેમાં કોઇ વ્યક્તિનો સમાવેશ પુલવામા હુમલામાં જે નામો ભારતે સોપ્યા તેમાં નથી થતો.
ભારતની એરસ્ટ્રાઇકથી ડરેલા પાકે. સરહદેથી ચાર ખુંખાર આતંકીઓને પરત બોલાવી લીધા હતા
નવી દિલ્હી, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને લઇને વધુ એક ખુલાસો સામે આવ્યો છે. એવા અહેવાલો છે કે પુલવામા હુમલા બાદ ભારતે જે એરસ્ટ્રાઇક કરી તે બાદ પાકિસ્તાન સૈન્ય અને સરકારની દોડાદોડી વધી ગઇ હતી. પાકિસ્તાન સૈન્યથી લઇને આતંકીઓની પણ ઉંઘ ઉડી ગઇ હતી. જે બાદ આતંકીઓને બોર્ડરેથી પરત પાકિસ્તાન તરફ લઇ જવામાં આવ્યા હતા. પાકિસ્તાનને એવો ડર હતો કે જો આ આતંકીઓને સરહદેથી ન હટાવવામાં આવ્યા તો તેના પર ભારત ફરી હુમલો કરી શકે છે. એરસ્ટ્રાઇક સમયે જ સરહદે ચાર મોટા આતંકીઓ સક્રીય હતા, જેને પાકિસ્તાને પરત બોલાવી લીધા હતા. પાકિસ્તાનને એ અહેસાસ થઇ ગયો હતો કે જો બાલાકોટ સુધી ભારતીય એરફોર્સના જવાનો આવી શકે તો તેઓ પાક. સરહદે જે આતંકી કેમ્પો છે તેના પર પણ હુમલા કરી શકે છે. તેથી જ આ કેમ્પોમાં સક્રિય આતંકીઓને પરત બોલાવી દેવામાં આવ્યા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UhCUco
No comments:
Post a Comment