
ભાવનગર, તા. 04 ફેબ્રુઆરી 2019, સોમવાર
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં 15 દિવસ પૂર્વે અગાઉ થયેલ ઝઘડા અને ફરિયાદની અદાવત રાખી યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થવા પામી હતી. જે મામલે પોલીસે એક શખસની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા. જ્યારે અન્ય આઠ શખસના મોબાઈલ સ્વીચ ઓફ થતાં તમામ પોલીસના લોકેશન બહાર હોવાનું અને પોલીસે તમામના એરિયામાં સઘન તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીક મુળ તળાજાના કેરાળા ગામ રહેતા સુજાનસિંહ લવજીભાઈ પરમાર (ઉ.વ. 25) અને તેમના મિત્ર ભગીરથસિંહ નરેશભાઈ હડિયલ (ઉ.વ.24) ઉપર ગત તા. 19 જાન્યુઆરીના રોજ રાત્રિના 8.30 કલાકના અરસા દરમિયાન નવ શખસે હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યો હતો. જેમાં સુજાનસિંહ પરમારનું મૃત્યુ નિપજવા પામ્યું હતું.
જે મામલે ઈજાગ્રસ્ત ભગીરથસિંહ હડીયલે નિલમબાગ પોલીસ મથકમાં હરૃભા પીપળી, જે. ડી. સરવૈયા, જયદીપસિંહ લાખિયાણી, કોકણસિંહ પરમાર અને અજાણ્યા પાંચ શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 302, 307 સહિતની કલમો તળે ગુનો દાખલ કરી ગુનાના કામે જયદિપસિંહ ઉર્ફે જયદીપ લાખાણી ભાવસિંહ જાડેજા (રે. ભક્તિનગર કાળિયાબીડ)ની ધરપકડ બાદ રીમાન્ડ મેળવી જીલ્લા જેલ હવાલે કરી દીધો હતો.
ઉક્ત રક્તરંજીત ઘટના ઘટયાના પંદર દિવસ પછી પણ હજુ પોલીસને સગડ મળ્યા નથી. તમામના મોબાઈલ લોકેશન આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ આઠેય ફરાર શખસના મોબાઈલ સ્વીચ ઓફ થતાં તમામ પોલીસના નેટવર્ક બહાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સંદર્ભે નિલમબાગ પો.સ્ટે.ના PI રબારીએ જણાવ્યું હતું કે, ફરાર શખસોના મકાન, વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે. શંકમંદોની પુછપરછ થઈ છે પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતા તેઓના મોબાઈલનું નેટવર્ક મળતું નથી ત્યારે હજુ નાસતા ફરી રહ્યાં છે.
યુવકની હત્યા મામલે વલભીપુરમાં અપાયું આવેદન
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં મુળ કેરાળા ગામના વતની સુજાનસિંહ પરમારની ગત તા. 19-01ના રોજ હત્યા થઇ હતી. યુવાનની હત્યા પૂર્વે પોલીસ મથકમાં અરજી પણ આપી હોવા છતાં શખસોએ હત્યા કરી દેતા રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગયેલ. જે મામલે યુવકની હત્યા કરનારા આજદિન સુધી કાયદાને ઘોળી પી જઇ ખુલ્લેઆમ ફરતા હોય ત્યારે કેસની તપાસ એજન્સીને સોંપી આરોપીઓને ઝડપી પાડવાની માગ સાથે આજે વલભીપુરમાં રાજપુત સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પાઠવી રાજ્ય લેવલે ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે આવતીકાલ તા.૫-૨ના રોજ તળાજામાં ઉક્ત મામલે રેલી સ્વરૂપે રાજપુત સમાજ આવેદનપત્ર પાઠવશે, તેવું જાણવા મળી રહ્યું છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GbtcSn
No comments:
Post a Comment