
બેંગલુરુ, 12 નવેમ્બર 2018, સોમવાર
કર્ણાટકમાં ભાજપને સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું 59 વર્ષની વયે નિધન થયું છે. અનંત કુમાર કેન્સરની બીમારીથી પીડિત હતા. અનંત કુમારના નિધન પર વડાપ્રધાન મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી છે. લિંગાયત નેતા બીએસ યેદિયુરપ્પા સાથે મળી અને કર્ણાટકમાં ભાજપને સત્તા સુધી પહોંચાડવામાં અનંત કુમારનો મહત્વનો ફાળો રહ્યો હતો.
22 જુલાઈ 1959માં જન્મેલા અનંત કુમારના જીવનની સફર પર એક નજર કરીએ તો તેમણે કર્ણાટક યૂનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીની ડીગ્રી મેળવી હતી. આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા પ્રખર વિચારક અને સંગઠનકર્તા અનંત કુમાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પણ સભ્ય હતા. બેંગલુરુ દક્ષિણથી 6 વખત લોકસભા સાંસદ રહેલા અનંત કુમાર પહેલા એવા રાજનેતા હતા જેમણે સંયુક્ત રાષ્ટ્રમાં કન્નડ ભાષામાં સંબોધન કર્યું હોય.
અનંત કુમાર યુવા મોરચાના પ્રાંતીય અધ્યક્ષ તરીકે ભાજપમાં જોડાયા હતા અને 1996માં તેઓ પાર્ટીના સચિવ બન્યા. તે જ વર્ષમાં તેઓ પહેલીવાર લોકસભામાં માટે ચૂંટાયા પણ હતા. અનંત કુમારે 1998માં www.dataindia.com અને www.ananth.org જેવી વેબસાઈટને લોન્ચ કરી હતી. અટલ બિહારી વાજપેયી સરકારમાં તેઓ ઉડ્ડયન મંત્રી રહ્યા હતા.
1999માં તેઓ ત્રીજી વખત સાંસદ બન્યા અને એનડીએ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. તેઓ 2003માં ભાજપની કર્ણાટક રાજ્ય યૂનિટના અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ 2004ની ચૂંટણીમાં ભાજપએ સૌથી વધારે બેઠક પ્રાપ્ત કરી હતી. તે જ વર્ષમાં તેમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા. તેમણે મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પણ ભાજપની સ્થિતી મજબૂત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fim3Qj
No comments:
Post a Comment