પાલનપુર,તા.04 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોનામાં વધી રહેલા પ્રકોપ વચ્ચે ભારત-પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદે આવેલ વાવ તાલુકાના રાધાનેસડા ગામે મેઘા વોલ્ટ સોલાર કંપનીના નવ કર્મચારીઓ રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ સોલાર પ્લાન્ટમાં હાલ કરોડોના ખર્ચે કામ ચાલી રહ્યું છે. જેને લઈ અહીં કામ કરતા અન્ય કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય ફેલાયો છે. તેમછતાં આ પ્લાન્ટ પર કામ ધમધમી રહ્યું હોવાછતાં તંત્ર દ્વારા સોલાર પ્લાન્ટમાં કોરોનાના સંક્રમણને રોકવા કોઈ જ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
વાવ તાલુકાના રાધાનેસડા ગામે સોલાર પ્લાન્ટમાં કામ કરતા નવ કર્મચારી કોરોનામાં સપડાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે સોલાર પ્લાન્ટમાં એક સાથે નવ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દ્વારા માત્ર મામલતદારને જાણ કરી છે. જિલ્લા આરોગ્ય તંત્રને પણ જાણ કરી હોવા છતાંય આરોગ્ય તંત્રએ જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દીધા હોવાનું જણાઈ આવે છે. જોકે સામાન્ય કોરોનાના કેસમાં તંત્ર દ્વારા જે તે વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાય છે. તે વિસ્તારને સીલ કરી દેવામાં આવે છે પરંતુ અહીં કોરોના કેસો નોંધાયાના ચાર દિવસ વિતવા છતાં તંત્ર દ્વારા કંપનીને નોટિસ જે કામ બંધ કરાવવાની તસ્દી લેવામાં ન આવતા અહીં વાહનોની બેરોકટોક અવરજવર ચાલુ છે. તેમજ અને સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ અહીં કામદારોથી કામકાજ કરાવાઈ રહ્યું છે. જેને લઈ સંક્રમણ વધવાથી રાધાનેસડા પંથકમાં કોરોના હોસ્પોટ બનવાની લોકોમાં દહેશત વર્તાવા લાગી છે. ત્યારે રાધાનેસડા પંથકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે સોલાર પ્લાન્ટને સીલ કરી અન્ય કર્મચારીઓના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે. અહીં મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z9KEyq
No comments:
Post a Comment