
-શાહ ફૈસલે રાજકારણ છોડવાનો નિર્ણય જાહેર કર્યો
-હાલ મુખ્ય પક્ષો અને નેતાઓ નજરકેદમાં છે
શ્રીનગર તા.13 ઑગષ્ટ 2020, ગુરૂવાર
શાહ ફૈસલે રાજકારણ છોડવાના પગલે જમ્મુ કશ્મીરમાં કેન્દ્ર સરકારના પડકારોમાં વધારો થયો હતો. ત્રણ વંશવાદી પક્ષો કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વિના જમ્મુ કશ્મીરમાં નવું રાજકારણ શરૂ કરવાની કેન્દ્રની નીતિને સરિયામ નિષ્ફળતા મળી ગણાય.
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં ટોપ નીવડેલા, સ્માર્ટ, હેન્ડસમ અને હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કોલરશીપ મેળવનારા ફૈસલના મગજમાં એવો વિચાર ઘુસાડવાના પ્રયાસો થયા હતા કે એ જમ્મુ કશ્મીરનો ટોચનો નેતા અને મુખ્ય પ્રધાન પણ બની શકે છે. જો કે જમ્મુ કશ્મીરમાં એક રાજકીય પક્ષના અધ્યક્ષપદે બિરાજ્યા બાદ ફૈસલ ફરી એકવાર સનદી અધિકારી બની રહે એવી શક્યતા સર્જાઇ હતી.
370મી કલમ રદ થયા બાદ બનેલી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ફૈસલની ટૂંકી રાજકીય કારકિર્દીની પાછળ કેન્દ્ર સરકારનો હાથ હતો. એને નેતા બનાવવાની ચાલના એક ભાગ રૂપે એની ધરપકડ કરાઇ હતી અને ત્યારબાદ એને મૂક્ત કર્યાનો દેખાવ કરવામાં આવ્યો હતો. મુક્ત કર્યાના નવ દસ દિવસ પછી તૂર્કી ભાગી જવાના કહેવાતા આરોપ બદલ ફરી એની ધરપકડ કરવામાં આવી. સરકારી એજન્સીઓ કેન્દ્ર સરકારને રાજી કરવા કેવા કેવા ખેલ કરે છે એનો એક ઉત્તમ નમૂનો શાહ ફૈસલ છે. ફૈસલના પક્ષ જમ્મુ કશ્મીર પિપલ્સ મૂવમેન્ટે રાજકારણમાં કોઇ મોટી ધાડ મારી નહોતી. ઊલટું હોનહાર વિદ્યાર્થી નેતા શેહલા રશીદ સહિત ઘણા કશ્મીરી યુવાનોની ઇમેજ ખરાબ કરવામાં આ પક્ષ નિમિત્ત બન્યો. સાત મહિના આ પક્ષ સાથે રહ્યા બાદ શેહલાએ પક્ષ છોડ્યો.
જમ્મુ કશ્મીરના રાજકારણમાં પોતે નિષ્ફળ ગયો એ હકીકત સમજીને ફૈસલે ઘરવાપસીનો નિર્ણય જાહેર કર્યો એટલે જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર કેન્દ્ર સરકારના પડકારોમાં વધારો થયો ગણાય. અત્યાર અગાઉ રાજ્યમાં સક્રિય રહેલા ત્રણે વંશવાદી પક્ષો વગર નવી રાજનીતિ ઘડવાની કેન્દ્રની કોશિશ નિષ્ફળ નીવડી ગણાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iAKTtt
No comments:
Post a Comment