
જમ્મુ, તા. 22 જૂન 2020, સોમવાર
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જમ્મુના રાજૌરી અને પુંછ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રાજૌરીના નૌશેરા સેક્ટર અને પુંછના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જોકે ભારતીય સેના પણ પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ (LoC) ખાતે પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે. શનિવારે પાકિસ્તાને ઉત્તરી કાશ્મીરના બારામુલા જિલ્લાના બે વિસ્તારો અને રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. શનિવારે બારામુલામાં એલઓસી ખાતે પાકિસ્તાનના ગોળીબારમાં છ લોકો ઘાયલ થયા હતા.
શનિવારની ઘટનામાં ઉરીના નંબલા ખાતે બે વ્યક્તિ ઘાયલ થયા હતા જ્યારે બારામુલાના રામપુર સેક્ટરમાં 20 જૂન 2020ના રોજ પાકિસ્તાને મોર્ટાર અને અન્ય હથિયારો વડે ફાયરિંગ કર્યું તેમાં ચાર નાગરિકો ઘાયલ થયા હતા.
હકીકતે જ્યારથી લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે અથડામણ થઈ છે ત્યારથી પાકિસ્તાન સતત એલઓસીના પ્રોક્સિમલ વિસ્તારોમાં ગોળીબાર કરી રહ્યું છે. ભારતીય સેનાના કહેવા પ્રમાણે પાકિસ્તાન એક રણનીતિને અનુસરીને એલઓસી ખાતે ગોળીબાર કરી રહ્યું છે. જોકે સાથે જ સેનાએ તેઓ દરેક પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fKzwh9
No comments:
Post a Comment