
કહેવાય સૂક્ષ્મ વિષાણુ, પરંતુ આ કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ચીનના વુહાન પ્રાંતમાંથી ઉદ્ભવેલો આ વાઈરસે અત્યાર લગી ૩૭૫ જણને ભરખી ગયો છે. બીજા ૧૬૦૦૦ માણસો આ વાઈરસને કારણે ફેંફસાની બીમારીથી રિબાય છે. પરિસ્થિતિ ઘણી ગંભીર છે.
સમસ્ત વિશ્વ સામે આ વાઈરસ એક મોટા પડકારરૂપ છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે એકાએક આ વાઈરસનો ઉદ્ભવ થયો ક્યાંથી? કોઈ રાજાના માથા પરના ક્રાઉન (તાજ) જેવો દેખાતો આ વાઈરસ ખંધા ચીનની ઉપજ છે એમ કોઈ કહે તો તમે માનો ખરા? પરંતુ પશ્ચિમના મિડિયામાં એવા અહેવાલો ફરે છે કે બાયોલોજિકલ વેપન (જૈવિક શસ્ત્રો) બનાવવાના પ્રયોગો દરમિયાન ચીનની કોઈ લેબોરેટરીમાંથી આ વાઈરસ બહાર પ્રસરી ગયો છે.
ઈઝરાયેલના વીરોલોજિસ્ટ (વાઈરસ નિષ્ણાત) દાની સોહામે દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીની સરકારે પેદા કરેલું બાયોલોજિકલ (જૈવિક) વેપન છે. દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રોગચાળો ફેલાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આધુનિક યુગમાં આ પરંપરા બાયોલોજિક વૉરફેર તરીકે ઓળખાય છે. હથિયારથી દુશ્મનને મારવાને બદલે દુશ્મન વિસ્તારમાં ચેપી રોગ ફેલાવતા વાઈરસ છોડી દેવામાં આવે, તો ઘણાના મોત થાય.
બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની સેનાએ ચીન પર આક્રમણ કર્યું ત્યારે એના જળાશયોમાં ઝેર ભેળવ્યું હતું. તેનો ઉદ્દેશ કોલેરા અને ટાઈફોડના વાઈરસ ફેલાવાનો હતો, આવુ પાણી કોઈ અજાણાતા પીવે તો તેનું મૃત્યુ થાય. ભૂતકાળમાં ન્યુઝીલેન્ડની એક પ્રયોગશાળામાંથી ફ્લુના વિષાણુઓ ભરેલી શીશી તફડાવીને કોઈ ભાગી ગયું હતું. ત્યારે ત્રાસવાદી કાવતરાનો ખોફ પેદા થયો હતો.
ઈઝરાયેલની મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામનું કહેવું છે કે વુહાનમાં આવેલી લેબોરેટરીમાંથી આ વાઈરસ લીક થયા છે. વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજિ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે. દાનીના કહેવા મુજબ ભવિષ્યના યુદ્ધો માટે ચીન અહીં ઘાતક વાઈરસ તૈયાર કરતું હતું. પરંતુ હાથના કર્યા હૈયે વાગ્યા, એ ઉક્તિ મુજબ પોતાનો વાઈરસ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. કેમ કે વાઈરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે ચીનના વુહાન પ્રાંતથી જ સર્વત્ર રોગચાળો ફેલાઈ રહ્યો છે. જો કે ચીનની સામ્યવાદી સરકાર આ વાત કદી સ્વીકારવાની નથી. બીજી તરફ વાઈરસ ચોક્કસ ક્યાંથી આવ્યો એ જાણી શકાતું નથી.
ચીન બાયોટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણા સંશોધનો કરી રહ્યું છે. અનેકવિધ નવા હથિયાર વિકસાવી રહ્યું છે. પોતાને મહાસત્તા માનતી ખુદ ચીની સરકાર પણ વાઈરસ અંગે મુંઝાયેલી છે. વૈશ્વિક સંધિ પ્રમાણે તો કોઈ દેશે બાયોલોજિકલ કે કેમિકલ્સ વેપન્સ તૈયાર કરવાની છૂટ નથી. પરંતુ ઘણા દેશો ખાનગી રાહે પ્રયોગો કરતાં હોય છે. આ વાઈરસ ચીને તૈયાર કર્યો હોય કે ન હોય પરંતુ ચીન બાયોલોજિકલ વેપન્સ પર કામ કરે છે. ભૂતકાળમાં ચીન પર એવો પણ આક્ષેપ થઈ ચૂક્યો છે કે તેણે બાયોલોજિકલ વેપન્સની સામગ્રી ઇરાન જેવા દેશોને પુરી પાડી હતી. હાનિકારક કેમિકલ્સની હેરાફેરી માટે ૩ ચીની લેબોરેટરીને અમેરિકામાં કામ કરવા પર અમેરિકાએ ૨૦૦૨માં પ્રતિબંધ પણ મુક્યો હતો.
ઈઝરાલયલી વિજ્ઞાાનીની આવાતોને સમર્થન આપતો બીજો અહેવાલ એ આવ્યો છે કે તાજેતરમાં જ અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફ.બી.આઈ.એ. હાવર્ડ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસરે ડો. ચાર્લ્સ લાઈબરની અટકાયત કરી છે. આ પ્રોફેસર કેમિકલ બાયોલોજીને લગતા પ્રયોગોની અંતર્ગત બાયોલોજિકલ વેપન વિકસાવતો હોવાનું માનવામાં આવે છે. કહે છે કે ચીને આ પ્રોફેસરની સહાય લઈ વુહાન પ્રાંતમાં જ એક લેબોરેટરી સ્થાપી છે. આ પ્રોફેસર સાથે એફ.બી.આઈ.એ બે વિદ્યાર્થીની પણ ધરપકડ કરી છે. જેમાંનો એક તો ચાઈનીઝ આર્મીમાં લેફ્ટનન્ટની પોસ્ટ પર છે.
આ બે ચીનાએ કેટલાક રસાયણ કે ઝેરી વાઈરસની ૨૧ શીશી લઈ જતાં લોગાન એરપોર્ટ પર પકડાઈ ગયા હતા. આ ઘટના પરથી એવું માની શકાય કે કોરોના વાઈરસ વુહાનની લેબોરેટરીમાંથી નાસી છૂટેલો જ રાક્ષસ છે.
તમે કહેશો કે આવા વાઈરસના અખતરા થાય ખરા? શું કોઈ દેશ વિષાણુ કે જીવાણુનો ઉપયોગ બીજા લોકોને મારવા માટે કરી શકે? તો તમને જણાવી દઉં કે જીવાણુઓનો વ્યાપક ઉપયોગ કરી શત્રુને મરણતોલ ફટકો મારવાના પ્રયાસ ભૂતકાળમાં પણ અનેક દેશોમાં થયા છે. બેક્ટેરિયા કે વાઈરસના આવા ઉપયોગને બાયોલોજિકલ વેપન કહે છે.
જીવાણુઓનો પણ શસ્ત્રો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ જીવાણુઓ દ્વારા હુમલો બે રીતે થાય છે. એક તો રોગચાળો ફેલાવવો અને બીજો દુશ્મન દેશને ભૂખે મારવો જેથી તે ઘૂંટણીએ પડીને શરણે આવે. જીવાણુઓ દ્વારા યુધ્ધ લશ્કરી વ્યૂહરચનાની જેમ લડી શકાય છે. એટલે કે ગણતરીપૂર્વક અને ખૂબ જ પધ્ધતિસર બાયોલોજિકલ વેપન (જૈવિક શસ્ત્રો) નો ઉપયોગ થાય છે.
ભારતમાં અનેક લોકો આજે પણ માને છે કે પેરેથીનીયમ પ્લાંટ કે જેને કોંગ્રેસ વીડ કહેવામાં આવે છે તે અને ગજરાધસ નામના પ્લાંટ ભારત માટે બહુ નુકશાનકારક છે. આ પ્લાંટ હાથે કરીને અમેરિકાએ ૬૦ના દાયકામાં દાનના પ્રવાહ સાથે ઘઉંની સાથે મોકલ્યા હતા. પીએલ-૪૮૦ પ્રકારના ઘઉંના રોપા અસ્થમા, એસ્ઝીયા અને અન્ય રોગો ફેલાવતા હતા. જેના કારણે લાખો લોકો પીડાયા હતા.
થોડા વર્ષ પૂર્વે સૂરત શહેરમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો એ દિવસોમાં એવી અફવા ઉડી હતી કે આ વિચિત્ર બિમારી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ.ના ષડયંત્રનું પરિણામ છે. પાકિસ્તાન એજન્ટો વતી કામ કરતાં કોઈ સ્થાનિક સુરતવાસીએ પ્લેગના જીવાણુઓ ધરાવતા ઉંદર કે આંચડોની જમાત શહેરની ગીચ વસતિમાં છુટા મૂકી દીધા હોય તેવું પણ બને.
જો કે કોઈપણ જવાબદાર વ્યક્તિ આવું વિધાન કરતાં પહેલાં પૂરો વિચાર કરે. પરંતુ સૂરત દિલ્હી અને કોલકાતામાં જે રીતે પ્લેગ પ્રસરી ગયો તે જોતા તબીબી જગતના નિષ્ણાતો પણ અંદરખાને એવી અટકળ કરતા હતા કે આ મહામારી બહુ વિચિત્ર રીતે પ્રસરી રહી છે જેથી કોઈ કાવતરાંની ગંધ આવે.
એ સમયે સૂરતના તબીબોએ કરેલી વાત દોહરાવીએ તો સુરતમાં ન્યુમોનિક પ્લેગને કારણે નહીં પણ હન્ટા વાયરસને લીધે મોટી સંખ્યામાં લોકો મર્યા છે. બીજા અમુક સૂરતના ડોક્ટરોનો એવો અભિપ્રાય છે કે શહેરમાં આટલા મોટા પ્રમાણમાં પ્લેગ ફાટી નીકળ્યો તેની પાછળ કોઈ ત્રાહિત પદાર્થ- ઉત્પ્રેરક (કેટેલિસ્ટ) જવાબદાર હોઈ શકે છે. આનું કારણ એ છે કે અત્યાર સુધી કોઈ પણ સ્થળે ઉંદરો આ રોગચાળાથી મરણ પામ્યા હોવાના અહેવાલો નથી.
જાણકારો માને છે કે માનવવસાહત પર પ્લેગના જંતુવાળા ચાંચડ છોડી મૂકવાનું કોઈ કૃત્રિમ સાધન વાપરવામાં આવ્યું હશે. કદાચ એવું પણ બન્યું હોય કે સૂરતમાં કે તેની આસપાસના કારખાનમાં જે નકામાં રસાયણોનો કચરારૂપે નિકાલ થાય છે. તેમાં કોઈ બીજા રસાયણો અને સેન્દ્રિય પદાર્થ ભળી જતાં નવા પ્રકારના બેક્ટેરિયા પેદા થયા હોય. અન્યથા આ રીતે ઝડપથી પ્લેગ ફેલાઈ જવો એ શક્ય નથી.
કોઈ વિદેશી એજન્સીએ પ્લેગનો રોગચાળો ફેલાવ્યો હોય તેવું અનુમાન કરી લઈ ખુદ કેન્દ્ર સરકારનું આરોગ્ય મંત્રાલય પણ આ દિશામાં તપાસ કરી રહ્યું છે. હેલ્થ ઓફિસરો એવી અટકળ કરી રહ્યાં છે કે લાતુર ખાતેના ધરતીકંપ પીડિતો માટે વિશ્વ બેન્કે જે વિમાનો ભરી ભરીને સહાય મોકલી હતી એ અનાજના કોથળાઓ મારફતે યુરોપમાંથી પ્લેગના જીવાણુઓ ભારતમાં પ્રવેશ્યા હતા.
જો આ વાતમાં થોડું પણ તથ્ય હોય તો એ સાથે એવું સમીકરણ પર જોડી શકાય કે કમ સે કમ ત્રણ મુસ્લિમ દેશો ઈરાક, ઈરાન અને લિબિયા પાસે જૈવિક શસ્ત્રો છે જેના દ્વારા તેઓ ગમે તે દેશ સામે રસાયણશસ્ત્રો કે જૈવિક શસ્ત્રો વાપરીને જંતુયુદ્ધ છેડી શકે છે. ક્યુબા, વેસ્ટ ઈન્ડિઝ તથા કેટલાક નાના આફ્રિકન દેશો પણ બાયોલોજિકલ વેવન્સના શિકાર બની ચૂક્યા છે.
ક્યુબા એવું માને છે કે ૧૯૮૭માં અમેરિકાએ ટાપુ પરની ખેતીનો નાશ કરવા જીવાણુઓ છોડયા હતા. ક્યુબાએ આ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘને ફરીયાદ પણ કરી હતી. જવાબમાં અમેરિકાએ એમ કહ્યું હોવાનું મનાય છે કે અકસ્માતે આ જીવાણુ છોડાયા હતા. નોર્થ વિયેટનામના લોકોએ પણ પોતાના ખેતરો કિલર જીવાણુઓના કારણે થતા નાશ માટે અમેરિકા સામે આંગળી ચીંધી હતી.
અમેરિકા પર પણ એકવાર જીવાણુ હુમલો થયો હતો. લાંબા શિંગડાવાળા ચાંચડ ૧૯૯૫માં જોવા મળ્યા હતા. જેના કારણે હજારો-કરોડોનું નુકશાન થયું હતું. આવા ચાંચડ ક્યાંથી પ્રવેશ્યા તે શોધી શકાયું નહોતું. કેલીફોર્નીયામાં ઑરયાર્ડ નામના ફ્રૂટ ખુબ પ્રખ્યાત છે. ૧૯૮૯માં એક ગુ્રપના લોકોએ એવી ધમકી આપી હતી કે અમે કેલિફોર્નિયા પર મેડફ્લાઇસ નામની માખીઓ છોડીશું. આ માખીઓ ઑરાયાર્ડનો ખાત્મો બોલાવી શકે છે. જો આમ થાય તો ૧૪ અબજનું નુકશાન થઇ શકે એમ હતું. આ રકમ કેટલાક દેશોના વાર્ષિક બજેટ જેટલી હતી.
બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન મોટા દેશોએ એકબીજા પર જંતુ યુદ્ધ શરૂ કરવા જીવાણુ ઉત્પન્ન કરતી લેબોરેટરીઓ ઉભી કરી હતી. તે યુધ્ધની વ્યૂહરચનાના એક ભાગરૂપે હતી. આ દેશો એમ માનતા હતા કે દુશ્મન દેશોમાં માખી મચ્છરો ફેલાવીને ત્યાં મેલેરીયા, યલો ફીવર, પ્લેગ વગેરે રોગચાળો ફેલાવી મોટી જાનહાનિ કરી શકાય.
અમેરિકાના પર્વતીય પ્રદેશમાં ૨૦૦ વર્ષ પહેલા એવા જીવાણુ મળી આવ્યા હતા કે જે નુકશાનકર્તા નહોતા પણ નાના, કરડી ના શકે તેવા રોગ ન પ્રસરાવી ન શકે તેવા લેપ્ટીનોતેરસા પ્રકારના જીવાણુ પેદા થયા હતા. જે નાઇટશેડ પ્લાંટને ખાઇ જતા હતા. બીટલ નામના જીવાણુ જમીન પર ઉતર્યા ત્યારે તે બટાકા, ટામેટા અને તમાકુના છોડ ખાવા વધુ પસંદ કરવા લાગ્યા હતા. તેના કારણે દરિયા કિનારાના વિસ્તારમાં કાગારોળ મચી હતી. મોટી સંખ્યામાં ખેતરોમાં ઊગેલો પાક નાશ પામવા લાગ્યો.
બ્રિટનને પણ બીટલ એટેકની ચિંતા રહેતી હતી.૧૯૪૧માં બ્રિટનના વડાપ્રધાનને સત્તાવાર રીતે તેમના બાયોલોજીકલ વૉરફેર પ્રોગ્રામે ચેતવણી આપી હતી કે બીટલ (જીવાણુ) એટેક થશે. જર્મન તેનો ઉપયોગ કરશે. તે સમયમાં ચર્ચીલે એવો આદેશ કર્યો હતો કે અમેરિકાથી બીટલ્સ લઇ આવો. ૧૯૪૨માં આ બીટલ્સ ભરેલું વહાણ જર્મનોએ આંતર્યું હતું. ત્યારે ખ્યાલ આવ્યો હતો કે બ્રિટન જીવાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા માગે છે. બ્રિટને જીવાણુ સૈન્ય ઉભું કર્યાની માહિતી પણ મળી હતી. લાંબા સમય બાદ બીજા વિશ્વયુધ્ધનો અંત આવ્યો ત્યારે રશિયા અને અમેરિકા વચ્ચે બીટલના ઉપયોગના આક્ષેપ સાથે કોલ્ડવોર શરૂ થઇ હતી. ઇસ્ટજર્મની, ઝેકોસ્લોવેકીયા અને પોલેન્ડ વારંવાર અમેરિકા પર આક્ષેપ કરતા હતા કે અમેરિકા બીટલ મીક્સ બીયારણ આપીને અમારે ત્યાં ભૂખમરો ઉભો કરવા માગે છે.ઇસ્ટ યુરોપના અખબારો અને ટી.વી. માધ્યમોએ એવું દર્શાવ્યું હતું કે બીટલ ભરેલા કન્ટેનર આકાશમાંથી પેરેશૂટ મારફતે ખેતરોમાં નાખવામાં આવે છે.
અમેરિકાના બીટલ જીવાણુએ અમીકાફેર (અમેરિકન બીટલ) નામ અપાયું હતું. બ્રિટને એવો આરોપ કર્યો તો કે ૧૯૬૯માં જીનીવા કોન્ફરન્સ વખતે રશિયાએ બીટલ એટેક કર્યો હતો. આવા તો બીજા અનેક કિસ્સા ટાંકી શકાય. કહેવાનો સાર એ છે કે જગતના ઘણા દેશો અણુબોમ્બ બનાવવો પરવડતો ન હોવાથી ગુપચુપ રીતે લેબોરેટરીમાં રોગચાળો ફેલાવે તેવા બેક્ટેરિયા- વાઈરસ વિકસાવી રહ્યા છે. આજે કોરોના અને એન્થ્રેક્સના વાઈરસના નામ ગાજે છે. કાલે વધુ વિનાશક, વધુ ઘાતક, વિષાણુના નામ સાંભળવા મળશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38cgVHE
No comments:
Post a Comment